સુરેન્દ્રનગરમાં ત્રણ વિદ્યાર્થીઓના શંકાસ્પદ હાલતમાં મળ્યા મૃતદેહ
ઘટનાની માહિતી એવી છે કે રહસ્યમય સંજોગોમાં આજે સવારે બોડા તળાવ પાસે ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઘટનાસ્થળે બે વિદ્યાર્થીઓની લાશ જમીન પર જ્યારે એક વિદ્યાર્થીની રહસ્યમય સંજોગોમાં એક છાપરા પર મળી આવી હતી. પોલીસ તપાસ કરતા અધિકારીએ જણાવ્યું કે 'પહેલી નજરમાં જોતા આ હત્યાનો કેસ લાગે છે, જોકે સાચી હકિકત તપાસના અંતે જ માલૂમ પડશે.'
મૃત પામેલા ત્રણેય વિદ્યાર્થીઓ સાયન્સના વિદ્યાર્થીઓ હતા. આ ત્રણેય હોસ્ટેલના વિદ્યાર્થીઓ હતા. પરંતુ તેઓ રાત્રે હોસ્ટેલમાંથી બહાર કેવી આવ્યા તે અંગે પ્રશ્ન છે. તેમજ આ અંગેની જાણ હોસ્ટેલના સત્તાવાળાઓને પણ નથી. જોકે પોલીસ આ અંગે શાળાની હોસ્ટેલ અને આચાર્યની પણ પૂછપરછ કરશે. આ ત્રણેય વિદ્યાર્થીઓમાંથી બે વડોદરા અને એક વિદ્યાર્થી પોરબંદરનો હતો.
જોકે આ ઘટનાને પગલે એનએસયુઆઇ દ્વારા શહેરની તમામ શાળા બંધ કરી દેવાઇ છે અને કડક તપાસની માંગ કરી છે. સાથે સાથે તેમણે શાળાના સત્તાવાળાઓ સામે પણ કડક પગલા ભરવાની માગ કરી છે.