વિસનગર કોર્ટનો મોટો ચુકાદો, હાર્દિક અને લાલજી પટેલને 2 વર્ષની જેલ
પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં 23 જુલાઈ 2015ના રોજ થયેલી સૌથી પહેલી રેલી દરમિયાન મહેસાણાના વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઑફિસમાં પાસના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી
પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગરમાં 23 જુલાઈ 2015ના રોજ થયેલી સૌથી પહેલી રેલી દરમિયાન મહેસાણાના વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઑફિસમાં પાસના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી અને ભાજપના કોઈ હોદ્દેદારની ગાડી પણ સડગાવી દેવામાં આવી હતી.. આ મામલે હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિત 17 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે આ કેસમાં અંતિમ ચુકાદો આવનાર છે. ત્યારે હાર્દિક પટેલે ફેસબુક લાઈવ કરીને પોતાના સમર્થકોને કોર્ટે આવવાની ના પાડી દીધી અને કંઈપણ ચુકાદો આવે શાંતિ જાળવવા અપીલ કરી છે.
આઈપીસીની કલમ 147 અને 148 અંતર્ગત ત્રણેય દોષિત
આ કેસમાં હાર્દિક પટેલ 17મો ગુનેગાર હતો. વિસનગર સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપી હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિત ત્રણને દોષિત ઠેરવીને 2-2 વર્ષની સજા ફટકારી છે અને 50-50 હજારનો દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. હાલ કોર્ટની બહાર લોકોની ભીડ જામી ગઈ છે. કોર્ટે અન્ય 14 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આઈપીસીની કલમ 147 અને 148 અંતર્ગત ત્રણેયને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
હિંસામાં ભોગ બનનાર લોકોને 10-10 હજારનું વળતર ચૂકવવામાં આવશે
હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ભોગ હિંસામાં ભોગ બનનાર લોકોને 10-10 હજારનું વળતર ચૂકવવામાં આવશે ઉપરાંત બાબુભાઈની ગાડી સળગી હતી તેમને દંડમાંથી 1 લાખનું વળતર આપવા અને ઋષિકેશભાઈની ઑફિસ સળગાવવામાં આવી હતી ત્યારે તેમને 40 હજારનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ રેલી દરમિયાન એક પત્રકાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને સુરેશભાઈના કેમેરાને તોડી મૂક્યો હતો. આ કેસમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ સહિત 35 લોકોની જુબાની લેવામાં આવી હતી.
અનામત આંદોલનને ફરીથી સક્રિય કરવાની ઘોષણા કરી હતી
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે 2019 લોકસભા ચૂંટણી પહેલા 25મી ઓગસ્ટથી અનામત આંદોલનને ફરીથી સક્રિય કરવાની ઘોષણા કરી હતી. જો કે હાર્દિક પટેલ અનામત આંદોલનને ફરીથી સક્રિય કરે તે પહેલા જ હાર્દિક પટેલને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે હાર્દિક પટેલ સામે સુરત તેમજ અમદાવાદમાં રાજદ્રોહના કેસ તેમજ બીજા કેટલાય સ્થળોએ જાહેરનામાનો ભંગ કરવાના કેસ ચાલી રહ્યા છે.
હાર્દિકને જામીન ન મળે તો...
શક્ય છે કે હાર્દિક પટેલને કોર્ટમાંથી જામીન મળી જાય તો હવે પાટીદાર આંદોલન વધુ ઉગ્ર બની શકે છે, જણાવી દઈએ કે હાર્દિક પટેલે 25મી ઓગસ્ટથી અમરણાંત આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે જો હાર્દિકને જામીન ન મળે તો હાર્દિક જેલમાં જ ભૂખ હડતાળ પર ઉતરી જાય તેવી શક્યતા છે.
વિસનગરમાં કડક પોલીસ બંદોબસ્ત
કોર્ટમાં હાર્દિક પેટેલની વિરુદ્ધમાં ચુકાદો આવતા જ સમગ્ર વિસનગરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.