આજે ખગોળપ્રેમીઓને રાજકોટમાં સ્પેસ સ્ટેશન નિહાળવાનો લ્હાવો
આજે એટલે કે 29 એપ્રિલ, 2013ના રોજ આ સ્પેસ સ્ટેશન રાજકોટના આકાશ પરથી પસાર થવાનું હોવાથી ખગોળપ્રેમીઓ દ્વારા આ સ્પેસ સ્ટેશન નિહાળવા માટે ઠેર - ઠેર આયોજનો ગોઠવાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આકાશમાં છેલ્લા ત્રણ દિવસથી જાણીતા અવકાશ યાત્રી સુનિતા વિલીયમ્સ દ્વારા આકાશમાં તરતુ મુકવામાં આવેલા સ્પેસ સ્ટેશનના દર્શન થઇ રહ્યા હોવાનો દાવો રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યો છે.
લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે 29 એપ્રિલ આ સ્પેસ સ્ટેશન નરી આંખે નિહાળવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. કારણ કે આ દિવસે રાત્રિના 8.11.46 કલાકથી 8.16.29 એટલે કે સળંગ પાંચ મીનીટથી વધુ સમય સુધી દક્ષિણ-પૂર્વ દિશામાં જમીનથી 82 ડિગ્રીની ઉંચાઇએ જોવા મળશે.
આ વિગતોના સંદર્ભમાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે આયોજન થયા છે તે અંગે લોક વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું છે કે પૃથ્વીની આસપાસ હજારોની સંખ્યામાં કૃત્રિમ ઉપગ્રહો ફરે છે જેમાંથી કેટલાક ઉપગ્રહ દૂર સંચાર માટે છે, કેટલાક લશ્કરના કામ માટેના છે. આ ઉપગ્રહ શહેરી વિસ્તારથી દૂર મોડી સાંજે અથવા રાત્રિના સમય દરમિયાન આકાશમાં વિહરતા જોવા મળે છે. આ જ પ્રકારના ઉપગ્રહ સ્વરૂપે જે સ્પેશ સ્ટેશન જાણીતા અવકાશયાત્રી સુનિતા વિલીયમ્સ દ્વારા અવકાશમાં તરતુ મુકવામાં આવ્યું છે તે 29 એપ્રિલના રોજ આકાશમાં રાત્રિના 8.11 કલાકે જોવા મળશે, જે નિહાળવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર સહિતના અન્ય સ્થળોએ ખગોળ રસિકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.