અમદાવાદ સિવિલ હોસ્પિટલ:છેલ્લા 3 દિવસમાં 18 નવજાતનું મૃત્યુ
શનિવારે મોડી રાત્રે સિવિલના તબીબોએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસોમાં 9 નવજાત શિશુનાં મોત થયા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઉત્તર પ્રદેશ, ગોરખપુર જેવી જ ટ્રેજિક ઘટના સામે આવી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં છેલ્લા એક દિવસ દરમિયાન 9 શિશુનાં મોત થયા હોવાની આશ્ચર્યજનક વાત સામે આવી છે. શનિવારે મોડી રાત્રે બોલાવવામાં આવેલ પત્રકાર પરિષદમાં આ વાતની જાણકારી આપવામાં આવી હતી. અહીં તબીબોએ જણાવ્યું હતું કે, એક દિવસમાં નહીં, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન આ નવજાત બાળકોનું મૃત્યુ થયું અને તમામ પ્રિ-મેચ્યોર બેબી હતા. જો કે, આ મામલે તાજેતરની જાણકારી અનુસાર, છેલ્લા 3 દિવસમાં 18 નવજાત બાળકોનું મૃત્યુ થયું છે, જેમાં 9 બાળકોનું મૃત્યુ 28 ઓક્ટોબરે રાત્રે 12 વાગ્યા પછી થયું હતું.
મામલના થશે તપાસ
આ મામલાની તપાસ માટે મેડિકલ એજ્યૂકેશનના ડેપ્યૂટી ડાયરેક્ટર ડૉ.આર.કે.દિક્ષિતની આગેવાની હેઠળ એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં બાળરોગ, પ્રસૂતિ અને સ્ત્રીરોગના નિષ્ણાંત અને સીનિયર તબીબોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ આ નવજાત શિશુના મૃત્યુ પાછળનાં કારણો, પરિસ્થિતિ વગેરે અંગે તપાસ કરશે અને સાથે જ જરૂરી સુધારાઓ પણ સુચવશે. આ સમિતિ ટૂંક સમયમાં જ તેમનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે.
ઇન્ફેક્શનનો બોગ બન્યા બાળકો
મળતી માહિતી અનુસાર, આ 9 બાળકોમાંથી 5 બાળકોને અન્ય હોસ્પિટલમાંથી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને 4 બાળકોનો જન્મ સિવિલમાં જ થયો હતો. 5 બાળકોને હિંમતનગર, લુણાવડા, માણસા, સુરેન્દ્રનગર અને વિરમગામમાંથી ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિલ લાવવામાં આવ્યા હતા. આમાંથી કેટલાક બાળકોનું વજન અત્યંત ઓછું 1.1 કિગ્રા હોવાનું પણ જાણવા મળ્યું છે. સામાન્ય રીતે નવજાત શિશુનું વજન 2.5 કિગ્રા હોય છે. બાળકોના અણધાર્યા મૃત્યુ બાદ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ગંભીર પ્રકારના ઇન્ફેક્શન(સેપ્ટિશિનિયા)થી પીડાતા હતા. કેટલાક લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, બાળકોને પૂરતી સારવાર ન મળી હોવાને કારણે આ ઘટના બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ આશરે 5થી 6 નવજાત શિશુઓ મૃત્યુ પામે છે.
રાજકીય વાતાવરણ ગરમાયું
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ મામલે રાજકારણીય વાતાવરણ પણ ગરમાયું છે. કોંગ્રેસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોતે આ મામલે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, વધુ એક ભાજપ શાસિત રાજ્ય ગુજરાતમાં બાળકોનું મૃત્યુ થયું છે. બાળકોના માતા-પિતા અને પરિવાર માટે સંવેદના છે. ભગવાન તેમને શક્તિ આપે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ આ મામલે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ 9 બાળકોનું મૃત્યુ થયું. બાળકોના પરિવાર માટે સંવેદના છે. શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, ગુજરાત સરકારે પોતાની ભૂલ સ્વીકારવી જોઇએ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 9 નવજાત શિશુઓનું મૃત્યુ, ભાજપને શરમ આવવી જોઇએ, જેઓ માત્ર અદાણી અને અંબાણી માટે કામ કરે છે.
Death of children reported in another BJP ruled State #Gujarat. My heart goes out to their parents n family members.May God gv them strength https://t.co/e94hxtpn9Z
— Ashok Gehlot (@ashokgehlot51) October 28, 2017