તુલસી કેસમાં કોર્ટનો આદેશ : 29મીએ 14 આરોપીઓને રજૂ કરો
તુલસી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ અમદાવાદની સ્પે. સીબીઆઇ કોર્ટમાં હાઇકોર્ટના આદેશ અનુસાર ચાર્જશીટ રજૂકરી હતી. કોર્ટે ચાર્જશીટના તમામ પેપરોની ચકાસણી કરવાનો આગ્રહ રાખીને આ કેસની આગામી મુદત ૧૦ ઓક્ટો.ના રોજ રાખી હતી. બીજી તરફ આ કેસમાં અમિત શાહ સહિતના કેટલાક આરોપીઓએ સીઆરપીસીની કલમ ૧૯૭ મુજબ કરેલી અરજી કરી હતી. આ અરજી પર સ્પે. સીબીઆઇ કોર્ટ શુક્રવારે સુનવણી હાથ ધરશે.
અમિત શાહને તુલસી એન્કાઉન્ટર કેસમાં મુખ્ય કાવતરાખોર દર્શાવીને સીબીઆઇએ આરોપી નંબર વન બતાવ્યા છે. અમિત શાહ ગત શુક્રવારે જ બે વર્ષ બાદ ગુજરાત પરત આવ્યા છે. ત્યારે જ સોહરાબુદ્દીન સાથે જ જોડાયેલા તુલસી કેસમાં સીબીઆઇ દ્વારા અમદાવાદની કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઇ હતી. તેથી કાનૂની જોગવાઇ મુજબ તેમની તુલસી કેસમાં પણ ધરપકડ નિશ્ચિત જણાતી હતી.
તુલસી કેસમાં અમીત શાહ તેમજ આરોપી પોલીસ અધિકારીઓ ગીથા જોહરી, આર. કે. પટેલ, ઓ.પી.માથુર, પી.સી.પાંડે વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સીબીઆઇ કોર્ટ દ્વારા ચાર્જશીટ રજૂ કર્યા બાદ આ કેસમાં પોલીસ અધિકારીઓની ધરપકડ ટાળવા માટે કાનૂની દાવપેચ ખેલતા વકીલોએ સીઆરપીસીની કલમ ૧૯૭ આગળ ધરીને એવી રજૂઆત કરી હતી કે, સરકારની પૂર્વ મંજૂરી વગર જાહેર સેવકોની ધરપકડ થઇ શકે નહીં.