વડોદરામાં સાધુ સંતોએ કર્યું મતદાન, મત આપવા કરી અપીલ
વડોદરામાં બીએપીએસના સંતોએ તો અમદાવાદમાં વૈષ્ણવ આચાર્યએ નિભાવી મતદાનની ફરજ. જાણો વધુ અહીં
મતદાન એટલે લોકશાહીનો ઉત્સવ. તેમાં સામાન્ય નાગરિકોની સાથે સંતો મહંતો પણ જોડાયા છે ત્યારે વડોદરાના અટલાદરા ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ વહેલી સવારે આવીને સમૂહમાં મતદાન કર્યુ હતુ. આ અંગે સંતોએ જણાવ્યું હતું કે મતદાન એ દેશના નાગરિકોની ઉત્તમ ફરજ છે અને સૌએ મતદાન કરવું જ જોઈએ. તેમણે કહ્યું હતું કે સર્વે સંતોએ સાથે મળીન વહેલી સવારે આવીને મતદાન કરવાની ફરજ નિભાવી હતી. આ પ્રમાણે ગુજરાતમાં દરેક જગ્યાએ સંતો મતદાન કરશે.
તો અમદાવાદ ખાતે વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય દ્વારકેશલાલજીએ પણ મતદાનની ફરજ અદા કરી હતી. સાથે જ તેમણે લોકોને અપીલ કરી હતી કે મતદાન જેવા ઉત્તર દાનનો લાભ તે પણ ઉઠાવે. અને મતદાન કરીને પોતાની ફરજ નિભાવે. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. અને આજના મતદાન પછી 18મી ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર થશે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંન્નેએ હિંદુત્વનો મુદ્દો હાઇ લાઇટ કર્યો છે. ત્યારે જોવાનું તે રહે છે કે જીત કોની થાય છે.