વડોદરામાં કસાઇઓના હુમલામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ
વડોદરા, 16 ઓક્ટોબર : આજે બકરી ઈદ હોઈ ગાયોની ગેરકાયદેસર કતલ રોકવાનો પ્રયાસ કરનાર ત્રણ પોલીસો પર કસાઈઓના ટોળાએ હુમલો કર્યો હતો. આ ઘટના વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં બની છે. પોલીસો પર કસાઈઓ તથા એમના ટેકેદારોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.
ઈજાગ્રસ્ત પોલીસોને વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કસાઈઓ તથા એમના ટેકેદારોએ પોલીસના વાહનને આગ પણ ચાંપી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસો ત્યાં દોડી ગયા હતા અને હિંસક બનેલા ટોળાને વિખેરવા અશ્રુવાયુના શેલ્સ છોડ્યા હતા. પોલીસે ચાર જણને અટકમાં લીધા છે.
દેશભરમાં આજે મુસ્લિમો દ્વારા બકરી ઇદની ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદ, જયપુર, ભોપાલ, કોલકતા અને નવી દિલ્હી સહિત ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં બકરી ઇદ નીમિત્તે મસ્જિદ અને દરગાહ પર નમાજ અદા કરવા મુસ્લિમ ભાઇઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ઇદ ઉલ જુહાના અવસરે લોકોને શુભકામનાઓ પાઠવી છે. મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે, કામના કરુ છુ કે આ પર્વ આપણા સમાજમાં ભાઇચારો અને એકતાની ભાવનાને મજબૂત કરે. ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ મુસ્લિમોને શુભકામનાઓ પાઠવી છે.