ગુજરાતમાં જંગલરાજ? સુરતમાં હાઇપ્રોફાઇલ ટ્રિપલ મર્ડર કેસ
થોડા દિવસ પહેલા બિહારમાં નીતીશ રાજમાં જંગલરાજ ચાલી રહ્યું હોવાના મામલે વિવાદ થયો હતો. પણ જે રીતે કૂદકેને ભૂસકે ગુજરાતમાં ક્રાઇમ વધી રહ્યો છે તેને જોતા ગુજરાત પણ જંગલરાજ ફેલાયું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં હાઇપ્રોફાઇલ ટ્રિપલ મર્ડર કેસમાં ત્રણ જણાને ચપ્પુના ધા ઝીંકીને મોતને ધાટ ઉતારવામાં આવ્યા. જે બાદ અહીં ભયનો માહોલ ફેલાયો છે.
નોંધનીય છે કે પૈસાની લેતી દેતીમાં વીએચપીના ફાયર બ્રાન્ડ નેતા પ્રવિણ તોગડિયાના પિતરાઈ ભાઈ સહિત બેનાં મોત થયા છે. વરાછા વિસ્તારમાં આવેલા એ.કે. રોડ પર ફાયનાન્સની ઓફિસમાં ત્રિપલ મર્ડર થયું હતું. જેમાં વીએચપીના ડો. પ્રવિણ તોગડીયાના કૌટુંબિક ભત્રીજા અને સુરત મનપા વિરોધ પક્ષના નેતા પ્રફુલ્લ તોગડીયાના ભાઈ ભરત તોગડીયા સહિત ત્રણના ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે
પ્રાથમિક તપાસ શું કહે છે.
પ્રાથમિક તપાસમાં ભરત તોગડિયા અને બાલુ હીરાણી સહિત ત્રણની હત્યા પાછળ અમરેલી જિલ્લાના બગસરા ગામની જમીનનો વિવાદ હોવાનું બહાર આવ્યુ છે.
ત્રણની હત્યા ત્રણની ધરપકડ
ભરત તોગડીયા સહિત ત્રણની હત્યા કરી નાસી છૂટેલા આરોપીઓમાંથી પોલીસે ત્રણની કામરેજથી ધરપકડ કરી છે. જેમાં લાલુ ભરવાડ, મેહૂલ ભરવાડ અને ઈમરાન સૈયદની ધરપકડ કરવામાં આવી છે. જમીન અથવા રૂપિયાની લેતી-દેતીમાં ત્રણ જણાને મોતને ઘાટ ઉતારી હત્યારા ફરાર થઇ ગયા છે.
2ના તો ત્યાં જ રામ રમાઇ ગયા
આ હુમલામાં ભરત છગન તોગડીયા અને અશોક ડુંગર પટેલનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે જમીન દલાલ બાલો હીરાનીનું સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે મહેશ જાદવ રાદરીયાની હાલત ગંભીર છે.
અંતિમયાત્રામાં તોગડિયાને પાસની હાજરી
ત્રણ જણાની અંતિમયાત્રામાં પાટીદાર અગ્રણીઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા અને એક જ સ્મશાનમાં ત્રણેય મૃતકોની અંતિમ વિધી કરવામાં આવી હતી.
મુખ્ય આરોપી ફરાર
આ ત્રણ લોકોની હત્યાનો મુખ્ય આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડન હાલમાં ફરાર છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતાં ગોલ્ડન અગાઉ પણ તેના સાથીદારો સાથે મારામારી કરવા અને વરાછામાં ભાજપના કાર્યકર્તાની હત્યાના કેસમાં આરોપી જાહેર થઈ ચૂક્યો છે.