મીઠા છે ગુજરાતીઓ, પાણી પહોંચાડવું પવિત્ર કામ છે : વેંકૈયા
ઉપ,રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ બુધવારે ગુજરાતની મુલાકાત લીધી. અહીં તેમણે મહેસાણા ખાતે સુજલામ સુફલામ યોજનાનો શિલાન્યાસ કર્યો. જાણો આ યોજના વિષે વધુ અહીં.
ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વાર એમ.વેંકૈયા નાયડુએ ગુજરાતની મુલાકાત લીધી હતી. સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઇપ લાઇન યોજનાનો શિલાન્યાસ કરવા માટે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયુડુ બુધવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે ગુજરાતીઓને નવરાત્રીની શુભકામના પાઠવી હતી. અને કહ્યું હતું કે ગુજરાતી મીઠી ભાષા છે. ગુજરાતીઓ મીઠા છે. તથા ખાવાનું પણ મીઠું છે. જેથી મારા સંબધો ગુજરાતીઓ સાથે ખુબ જ મીઠી લાગણીથી બંધાઇ ગયા છે. આ પ્રસંગે નાયડુએ કહ્યું કે દેશના દરેક પ્રાંતોનો સમતોલ વિકાસ કરવાના ઉમદા આશયથી પીએમ મોદીએ નદીઓના જોડાણનું ભગીરથ કાર્ય આરંભ્યું છે. પાણી પહોંચાડવું પવિત્ર કામ છે.
સાથે જ તેમણે કહ્યું કે ગ્રામ રાજ્યના વિકાસ સિવાય રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. ગામડાના વિકાસ માટે ગામડાઓને રસ્તાઓથી જોડવા ખૂબ જ જરૂરી છે. સાથે જ તેમણે ગુજરાત રાજ્યના વખાણ કરતા કહ્યું કે અન્ય રાજ્યો માટે ગુજરાત પ્રેરણારૂપ રાજ્ય છે. દેશના પ્રગતિમાં મૂળ સ્ત્રોત્રમાં ગુજરાત છે. ગુજરાતમાં ઉદ્યોગો અને ખેતીનો વિકાસ સારો છે. નર્મદા ડેમના દરવાજા બંધ થતા ગુજરાતનો વિકાસ ઝડપી થશે. સાથે જ બુધવારે મહેસાણા ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે 1243 કરોડના ખર્ચે તૈયાર થનાર સિંચાઇ અને તળાવ ભરવાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ યોજના થકી આવનારા સમયમાં વિજાપુર, કડી, વડનગર, ખેરાલું, મહેસાણા, જોટાણાસ બેચરાજી, સતલાસણા અને વિસનગર સહિત 195 ગામોની ઘરા નવપલ્લવીત થશે. ત્યારે હાલ પાંચ પાઇપ લાઇનોનો શિલાન્યાસ અને એક પાઇપ લાઇનનું લોકાર્પણ કરાયું છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિત વેંકૈયા નાયડુ સમેત, ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી અને ઉપ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી.