ગુજરાતમાં આમ આદમી પાર્ટી મેદાન મારી શકવા સક્ષમ છે ?
ગુજરાતમાં સામાન્ય રીતે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓમાં છેલ્લા 30 વર્ષથી બે રાજકીય પક્ષો વચ્ચે જ સીધો મુકાબલો રહ્યો છે. ચૂંટણી દરમિયાન નાના રાજકીય પક્ષો થકી મેદાનમાં આવવાનો અખતરા થયા છે. પરંતું, તે અસફળ રહ્યા છે. બે રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર રહી છે. પરંતું, પ્રાદેશિક કે બહારની ક્ષેત્રિય પાર્ટીઓ રાજ્ય વ્યાપી મત વિભાજન કરવામાં કે ભાજપ-કોંગ્રેસને સીધી ટક્કર આપવામાં ફાવી નથી. એટલે જ ગુજરાતમાં કહેવાતું હતુ કે, ત્રીજો મોરચો ગુજરાતમાં અસ્વિકાર્ય છે. પરંતું, કોઇ સિદ્ધાંત કાયમી ટકતો નથી.
પરંતું, આ વખતે 2022ના વિધાનસભાના ચૂંટણી જંગમાં કોંગ્રેસ અને ભાજપને હંફાવવા માટે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે. દિલ્હી અને પંજાબમાં સફળતા મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત પર ફોકસ કર્યુ છે. ગુજરાતમાં પોતાના પંજાબ અને દિલ્હીના એજન્ડાને આગળ ધપાવવા પ્રયાસ કરી પુરી તૈયારી સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. દિલ્હી અને પંજાબના આપના નેતાઓ અને કેજરીવાલ, મનિષ સિસોદીયા તથા ભગવંત માન રેલી અને સભાઓ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનીતિમાં આમ આદમી પાર્ટીના પંજાબ અને દિલ્હીને વિકાસ મોડલ રજૂ કરી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે, ભાજપ પુનરાવર્તન કરવા અને કોંગ્રેસ પરિવર્તન કરવાના મુદ્દે મેદાનમાં છે. શહેરી અને દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જે રીતે ગ્રાફ વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીના વચનો લોકોમાં સ્વિકાર્ય બની રહ્યા છે. ત્યારે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં સત્તામાં આવે કે ન આવે પણ પોતાનું મજબુત ગ્રાઉન્ડ ઉભુ કરશે. જે ભવિષ્યમાં ભાજપને ભારે પડશે, કોંગ્રેસની જમીન વિખેરી નાખનારું બની શકશે.