ગુજરાતમાં ‘પદ્માવત’ રિલીઝ થશે? SCના ચૂકાદાનો થશે અભ્યાસ
શું ગુજરાતમાં રિલીઝ થશે 'પદ્માવત'? સુપ્રીમ કોર્ટે ખસેડી લીધો છે પ્રતિબંધ, આ અંગે શું કહ્યું પ્રદીપસિંહ જાડેજાએ? આ અંગે વધુ વાંચો અહીં...
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવે છે, એમ-એમ ફરી એકવાર તેના લગતા વિવાદો આકાર લઇ રહ્યાં છે. સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને સર્ટિફિકેટ મળ્યા બાદ પણ ગુજરાત અને રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેની સામે ફિલ્મના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અંગે નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને જણાવ્યું હતું કે, ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યા બાદ તેમણે ફિલ્મની રિલીઝ અટકાવવી ન જોઇએ.
આ પછી હવે ફિલ્મ કયા રાજ્યોમાં રિલીઝ થશે અને કયા રાજ્યોમાં નહીં એ અંગે પ્રશ્નો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મ પરનો પ્રતિબંધ ખસેડી લીધા બાદ આ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ફિલ્મ 'પદ્માવત' પર પ્રતિબંધ હતો, હવે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો અભ્યાસ કર્યા બાદ આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આ ફિલ્મના આકરા વિરોધ બાદ તેમના અનેક પરિવર્તનો કરવામાં આવ્યા છે અને ફિલ્મનું નામ પણ બદલવામાં આવ્યું છે. આમ છતાં, ફિલ્મ સામેનો વિરોધ યથાવત છે અને નામ પરિવર્તન બાદપણ ગત અઠવાડિયે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ફિલ્મ પર પ્રતિબંધની વાત કરી હતી.
વિરોધ યથાવત
હવે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ ખસેડી લીધા બાદ પણ આ નિર્ણયનો પણ વિરોધ થઇ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્ર સિંહ કાલવીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કહ્યું કે, સમગ્ર દેશમાં સામાજિક સંગઠનોને અપીલ કરું છું કે, પદ્માવત ચાલવી ન જોઇએ. ફિલ્મ હોલ પર જનતા કરફ્યૂ લગાવી દે. તો હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે અમારી વાત સાંભળ્યા વિના નિર્ણય આપી દીધોછે, પરંતુ અમે નિર્ણયનું સન્માન કરીએ છીએ. અમે આદેશ વાંચીશું અને જોઇશું કે એની વિરુદ્ધ અપીલ થઇ શકે છે કેમ.