જસદણની જીત ભાજપ કરતાં બાવળિયાની વધુ, કોંગ્રેસે પણ આપી અણધારી ટક્કર
જસદણની જીત ભાજપ કરતાં બાવળિયાની વધુ
રાજકોટઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાંથી ભાજપનાં સૂફડાં સાફ કર્યા બાદ કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની જસદણ સીટ પર પણ કબ્જો જમાવવા મથી રહી હતી પરંતુ બાવળિયાના જોર સામે કોંગ્રેસના તમામ પ્રયત્નો ધર્યાના ધર્યા જ રહી ગયા. વર્ષોથી કોંગ્રેસની ટિકિટ પર જીતતા આવતા કદાવર નેતા કુંવરજીભાઈ બાવળિયાએ જુલાઈ 2018માં ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને ભાજપે તેમની કેન્દ્રીય મંત્રી પણ બનાવી દીધા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી તરીકે વર્ષોથી પોતાના ગઢ ગણાતા જસદણમાં જો બાવળિયા હારે તો તેમની શાખ પણ દાવ પર લાગે તેમ હતી અને આવી હાલતમાં તેમના રાજકીય કરિયર પર પણ સવાલ લાગી જાય તેમ હતું.
કોંગ્રેસે અણધારી ટક્કર આપી
બીજી બાજુ કોંગ્રેસ બાવળિયાના ચેલા કહેવાતા એવા અવસર નાકિયાને ટિકિટ આપીને પોતાનો ગઢમાં જીત મેળવવાનો અવસર ઝડપવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના અવસર નાકિયાએ કુંવરજી બાવળિયાને ધાર્યા કરતા વધુ સારી ટક્કર આપી હતી. પરંતુ કોંગ્રેસ ઉલટાની જસદણ સીટ ગુમાવી ચૂકી છે અને આની સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપે સેન્ચ્યુરી લગાવી દીધી છે. 182માંથી ગુજરાત વિધાનસભાના 100 ધારાસભ્યો હવો ભાજપના થઈ ગયા છે. જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપને 99 સીટ પર જીત મળી હતી અને બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોય અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી. હવે બાવળિયા ભાજપમાંથી ફરી આ સીટ પર જીતતાં વિધાનસભામાં ભાજપના કુલ 100 ધારાસભ્યો થઈ ગયા છે.
ભાજપ કે કોંગ્રેસનો નહિં, બાવળિયાનો ગઢ
પરંતુ સવાલ એ છે કે આ જીત ભાજપની કેટલી અને બાવળિયાની કેટલી? તો એ ચોક્કસ છે કે ભાજપની જીત તો થઈ જ છે પરંતુ ભાજપ કરતાં વધુ જીત બાવળિયાની થઈ તેમાં બીજો કોઈ મત નથી. બાવળિયાની જગ્યાએ બીજો કોઈ ભાજપનો ઉમેદવાર હોત તો જીતવું મુશ્કેલ પડી જાય તેમ હતું કેમ કે કદાવર નેતા હોવા અને વર્ષોથી જસદણથી ચૂંટાતા આવતા હોવા છતાં કોંગ્રેસના અવસર નાકિયા 70 હજારથી વધુ મત મેળવવામાં સફળ થયા હતા. જો કે બાવળિયાની જીતના કારણમાં ભાજપનો સાથ પણ ગણી શકાય કેમ કે અહીંના લોકોને હવે વિકાસ થશે તેવી અપેક્ષાઓ છે. કેન્દ્રીય મંત્રી બનાવ્યાના તુરંત બાદ કેન્દ્ર સરકારે 400 કરોડ રૂપિયા જેટલું ભડોળ જસદણના વિકાસ માટે ફાળવ્યું હતું. હવે લોકોને અપેક્ષા છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને બાવળિયાને ચૂંટવામાં આવ્યા ત્યારે જસદણમાં પાણી, રસ્તાની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે.
જસદણની વસતીનું ગણીત
કુંવરજી બાવળિયાની જીત પાછળનું બીજું મોટું કારણ હોય તો કોળી સમાજમાં તેમનું વર્ચસ્વ છે. જણાવી દઈએ કે જસદણ વિધાનસભા મતક્ષેત્રમાં સૌથી વધુ કોળી સમાજ અને બીજા નંબરમાં સૌથી વધુ વસતી હોય તો તે પાટીદારોની વસતી છે. જો કે માનવામાં આવી રહ્યું હતું કે પાટીદાર વોટબેંક કુંવરજી બાવળિયાની મુશ્કેલીઓ વધારશે પણ આ માત્ર ધારણા જ રહી ગઈ અને પાટીદારોના મતથી બાવળિયાને કંઈ મોટું નુકસાન થયું નથી.
જસદણ સીટ પર બીજી વખત ભાજપની જીત
અત્યાર સુધીમાં જસદણમાં કુલ 14 વખત ચૂંટણી થઈ છે જેમાંથી 8 વખત કોંગ્રેસની જીત થઈ છે અને જસદણ વિધાનસભા સીટ પર માત્ર એકવાર 2012માં ભાજપની જીત થઈ હતી. 2012માં ભાજપના ચૂંટાયેલ ધારાસભ્ય ભરત બાઘેલ પણ કુંવરજીભાઈના વોટ કપાવવાના પ્રયત્નો કરશે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી પણ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતાંની સાથે કુંવરજીભાઈ બાવળિયાની સાથોસાથ જસદણ ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પણ પાસ થઈ ગયા. આ સીટ પર બાવળિયાનો દબદબો પહેલેથી જ રહ્યો છે. 1998, 2002, 20017માં કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા, 2012માં તેઓ ચૂંટણી નહોતા લડ્યા અને 2017માં ફરી તેઓ કોંગ્રેસની ટિકિટ પર જસદણ સીટ પરથી જીત્યા હતા, પણ કોંગ્રેસે વિપક્ષી નેતા કે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી ન સોંપતાં કોંગ્રેસથી નારાજ થઈ કુંવરજીભાઈએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ અપનાવી લીધો હતો અને 2018માં ફરી ભાજપની ટિકિટ પરથી આજે ચૂંટણી જીતીને પોતાના વર્ચસ્વની સાબિતી આપી દીધી છે.