વિશ્વ આરોગ્ય દિવસ: હવે આરોગ્ય ક્ષેત્રે ગુજરાત બનશે નંબર વન
ગાંધીનગર, 7 એપ્રિલ: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તંદુરસ્ત-સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે સર્વગ્રાહી આરોગ્યલક્ષી કાર્યક્રમો હોલિસ્ટીક એપ્રોચથી ઉપાડવાનું આહ્વાન કર્યું છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આપણું લક્ષ્ય રોગ ઉદભવે જ નહિં તેવી શ્રેષ્ઠતમ સ્થિતી ઉભી કરવાનું હોવું જોઇએ. સમાજના છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓનો વ્યાપ વિસ્તારીને તથા આરોગ્ય માવજતની જનજાગૃતિ લાવીને આ લક્ષ્ય સિધ્ધ થઇ શકશે.
મુખ્યમંત્રીએ આજે વિશ્વ આરોગ્ય દિન અવસરે રાજ્યના આરોગ્ય વિભાગના ઉપક્રમે વિવિધ આરોગ્યલક્ષી જનહિત કાર્યક્રમોનું લોન્ચીંગ કર્યું હતું.
આનંદી બહેને કહયું કે, ગુજરાતમાં આ કાર્યક્રમો વ્યાપક રીતે શરૂ થતાં પૂર્વે ૯ જિલ્લાઓમાં ૯૭ હજાર વ્યક્તિઓનું આવું સ્ક્રીનીંગ થયું છે. તેમણે વહેલું નિદાન, સધન સારવાર અને જનજાગૃતિના ત્રિવિધ વ્યૂહથી ગંભીરતમ રોગ થતાં પહેલાં જ રોકવાની આરોગ્ય વિભાગની સેવા પ્રતિબધ્ધતામાં રાજ્ય સરકારના અન્ય વિભાગો પણ સંકલન કરી સર્વગ્રાહી આરોગ્ય માવજતમાં જોડાય તેવી પ્રેરક અપિલ કરી હતી.
- તંદુરસ્ત-સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે સર્વગ્રાહી આરોગ્યલક્ષી કાર્યક્રમો હોલિસ્ટીક એપ્રોચથી ઉપાડવાનું આહ્વાન કરતા મુખ્યમંત્રી
- વિશ્વ આરોગ્ય દિને રાજ્યમાં વિવિધ જનહિત કાર્યક્રમોનું લોચીંગ
- ૧લી જૂન, ૨૦૧૫થી રાજ્યવ્યાપી પ્રારંભ
- ૧૦,૦૦૦થી વધુ આરોગ્ય કેન્દ્રો - ૩૦૦ સી.એચ.સી.-૩૦૮ અર્બન હેલ્થ સેન્ટર્સ - જિલ્લા, તાલુકા હોસ્પિટલ સાંકળી લેવાશે
- ડાયાબીટીસ સ્ક્રીનીંગ અભિયાન
- સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનીંગ અભિયાન
- ઓરલ હેલ્થ માટેનું સ્ક્રીનીંગ અભિયાન
- ક્લેફટલીપ અને ક્લેફટ પેલેટ ફ્રી ગુજરાત
- મિશન ઇન્દ્રધનુષ - બાળકોનું સંપૂર્ણ રસીકરણ
- આપણું લક્ષ્ય રોગ ઉદ્ભવે જ નહિ તેવી શ્રેષ્ઠતમ સ્થિતિ ઉભી કરવાનું છે
- શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં બાળકોની ડાયાબિટિસ તપાસ થાય
- શાળાના બાળકોના આરોગ્યનો- આંગણવાડીના કુપોષિત બાળકોનો આરોગ્ય ડેટાબેઈઝ તૈયાર કરવા સૂચન
- સંસ્થાગત પ્રસૂતિમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા આરોગ્ય સેવા કર્મીઓને એવોર્ડ વિતરણ
મુખ્યમંત્રીએ વર્તમાન જીવનશૈલી અને હવા-પાણી અને ખોરાકમાં બદલાવ ને પરિણામે ડાયાબીટીસ જેવા રોગના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યકત કરતાં ભારપૂર્વક ઉમેર્યું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં બાળકોની પણ ડાયાબીટીસ તપાસ થાય અને જરૂરિયાત જણાયે સારવાર પ્રબંધ થાય તો ભાવિ પેઢીને આ રોગથી મૂક્ત રાખી શકાશે.
તેમણે આ માટે શાળાના બાળકોના આરોગ્યનો તથા આંગણવાડીના કૂપોષિત બાળકોનો ડેટાબેઇઝ તૈયાર કરી આરોગ્ય વિભાગ તેમજ સંબંધિત વિભાગો આરોગ્યલક્ષી પગલાં સ્વૈચ્છિક સંગઠનો, સેવાભાવી તજજ્ઞ તબીબોના સહયોગથી લઇ શકે તેવું સૂચન કર્યું હતું.
આનંદીબહેને સ્વસ્થતા માટે સ્વચ્છતા અહેમ ગણાવતાં રોગચાળો-માંદગી ઉદભવે જ નહિં તે માટે ગંદકી જ ન થાય તેવા સમાજ વાતાવરણના નિર્માણની આવશ્યકતા સમજાવી હતી.
મુખ્યમંત્રીએ સંસ્થાગત પ્રસુતિમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા આરોગ્ય કેન્દ્રોના સેવાકર્મીઓને એવોર્ડઝ વિતરણ કર્યું હતું.
વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી પ્રસંગે કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર મીનાક્ષીબેન પટેલ, ધારાસભ્ય સર્વ જગદીશભાઇ પંચાલ, આર.એમ.પટેલ, અરવિંદભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ડૉ.નિર્મલા વાધવાણી, ગુજરાત કેન્સર સોસાયટીના પ્રમુખ પંકજભાઇ પટેલ, તબીબી શિક્ષણના અગ્ર સચિવ અનીલ મુકીમ, આરોગ્ય કમિશનર જે.પી.ગુપ્તા, ક્લેકટર રાજકુમાર બેનિવાલ, જિલ્લા વિકાસ અધિકારી ભાર્ગવી દવે સહિત તબીબો, શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.
જુઓ તસવીરો...

હ્રદયસ્પર્શી અપિલ કરી
તેમણે ફાટેલા હોઠ-તાળવાની ખોડખાંપણવાળા બાળક જન્મે જ નહિ તે માટે માતાઓ-બહેનોની આરોગ્યની શ્રેષ્ઠ તપાસ - સારવાર, પૂરક પોષક આહાર આપવાની જરૂરિયાત સાથે વ્યસનની બદી દૂર કરવાના ઉપાયો યોજવા હ્રદયસ્પર્શી અપિલ કરી હતી. ક્લેફટલીપ અને ક્લેફટ પેલેટની ઓપરેશન સારવાર માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આ અવસરે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્માઇલ ટ્રેઇન સંસ્થા સાથે એમ.ઓ.યુ. પણ કર્યા હતા.

સમાજની આરોગ્ય સમસ્યાઓના નિવારણને અગ્રીમતા
સમાજની આરોગ્ય સ્પર્શીય સહિતની સમસ્યાઓના નિવારણને અગ્રીમતા આપવાની નેમ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પરસ્પર સંકલન માટે વિશેષ ઝોક આપ્યો હતો.

"મિશન ઇન્દ્રધનુષ'
આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં "મિશન ઇન્દ્રધનુષ' ધનિષ્ઠ રસીકરણ ઝૂંબેશ અન્વયે રાજ્યમાં ઝૂંપડપટ્ટી વિસ્તારો સહિત ધરે-ધરે ફરીને સર્વે કરી બાળકોને રસીકરણમાં આવરી લેવાના આરોગ્ય તંત્રના અભિગમની વિસ્તૃત છણાવટ કરી હતી.

મત્યુદર અને બાળ મૃત્યુદર ધટાડવા કટિબધ્ધતા
નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગરીબ અને જરૂરતમંત દર્દીઓને સારવાર દરમિયાન જરૂરી ૩૫૦ જેટલી જીવનરક્ષક દવાઓનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે. રાજ્યની પ્રજાની આરોગ્ય જાળવણીમાં વધારો થાય અને માનવ સૂચકાંકમાં આરોગ્ય ક્ષેત્રેનો આંક વધુ ઉંચો આવે તેવા પ્રયાસો અને આયોજન હાથ ધરવામાં આવ્યા છે. મંત્રીએ સાર્વત્રિક રસીકરણ માટેના મિશન ઇન્દ્રધનુષના અસરકારક અમલીકરણ દ્વારા રાજ્યનો માતા મત્યુદર અને બાળ મૃત્યુદર ધટાડવા કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.

આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે
બિમારી આવે અને સારવાર કરાવવી તેના બદલે બિમારી ન આવે તેવા પ્રયાસો પર રાજ્યના આરોગ્ય વિભાગે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમણે જણાવ્યું કે યુધ્ધ સહિત આકસ્મિક ધટનાઓ કરતાં કેન્સર જેવા જીવલેણ રોગોમાં મૃત્યુ આંક વધારે હોય છે ત્યારે અગાઉથી જ તેની ચકાસણી અને નિદાન થાય તે ખૂબ જરૂરી છે.

ડાયાબિટીસ કીટનું વિતરણ
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ડાયાબિટીસ કીટનું રાજ્યના અંતરિયાળ વિસ્તારના આરોગ્ય કેન્દ્રો માટે વિતરણ કર્યું હતું. સાથોસાથ કેન્સર દર્દીઓના સહાય માટે લાયન્સ કલબના રૂપા શાહે ૬૧ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.












Click it and Unblock the Notifications
