જાણો હાર્દિક પટેલ અને મમતા બેનરજી વચ્ચે શુ વાતચીત થઈ?
હાર્દિક પટેલે કોલકત્તામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કરી બંધ બારણે મુલાકાત. જાણો આ મુલાકાત અંગે વધુ વિગતવાર માહિતી અહીં.
પાટીદાર લીડર અને યુથ આઇકોન બની ગયેલા હાર્દિક પટેલની દરેક ચાલના કારણે હાલ પણ વિજય રૂપાણી સરકાર ચિંતિત થઇ જાય છે. ત્યારે આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને પરેશાન કરવા માટે હાર્દિક પટેલે તેની શતરંજની બાજી શરૂ કરી દીધી છે અને જેના ભાગરૂપે હાર્દિક પટેલે શુક્રવારે મોદીના ખાસ વિરોધી ગણાતા અને રાજનીતીના માહિર ગણાતા પશ્રિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કલકત્તામાં ખાસ મુલાકાત કરી હતી. અને જેમાં તેમની સાથે સાંજે એક કલાક જેટલો સમય પણ પસાર કર્યો હતો. સાથોસાથ મમતા બેનર્જીએ હાર્દિક પટેલની આગામી રણનીતી અંગે ચર્ચા કરીને ઘણુ મહત્વનું માર્ગદર્શન પણ આપ્યું હતું. જેમાં મોદી સરકારની ઉદ્યોગપતિઓ માટેની ફાયદો કરાવવાની ખાસ પોલીસી, ખેડુત વિરોધી નિતી તેમજ દેશમાં યુવાનોની રોજગારીના મુદે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી નીતી કઇ રીતે ઘડવી તેની પણ ચર્ચા કર્યાનું સુત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાર્દિક પટેલે ભાજપ સરકાર વિરોધ રીતસરનો મોરચો માડ્યો હતો. અને તેના કારણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં અનેક સભાઓ કરવાની ફરજ પડી હતી. અને તેમ છતાય, ભાજપ 99 સીટના આંક સુધી માંડ માંડ પહોંચી શકી હતી. જેના કારણે મોદીના ગુજરાત મોડેલની સમગ્ર દેશમાં ટીકા પણ થઇ હતી. તો બીજી તરફ હાર્દિક પટેલ આ જ રણનિતીના ભાગ હેઠળ આગળ વધી રહ્યો છે. અને ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે એક આયોજન બધ્ધ તૈયારી કરી રહ્યો છે અને તેમાં સફળ પણ થઇ રહ્યો છે.
આ પહેલા હાર્દિકે ભાજપનો સૌથી વધારે વિરોધ કરતી શિવસેનાના ચીફ ઉદ્રવ ઠાકરે સાથે પણ મુંબઇમાં માતૃશ્રી સાથે મુલાકાત કરીને ભાજપ સરકારને વિચાર કરતી મુકી દીધી હતી. બીજી તરફ હાલ શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી નાખતા મુંબઇ અને મહારાષ્ટ્રમાં ચિંતા છે. ત્યારે આગામી સમયમાં હજુ હાર્દિક મધ્ય્રદેશ. હરિયાણા અને રાજસ્થાનમાં પણ આ રીતે આગળ વધવાની તૈયારીઓ શરૂ કરી છે. જો કે બીજી તરફ ભાજપનો પ્લાન એ પણ છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલ વિરોધના કેસોને ફરીથી ચાલુ કરીને તેને જેલમાં જ રાખે નહીતર હાર્દિક ભાજપનો દાવ ઉલ્ટો કરી દે તેવી પુરેપુરી શક્યતા છે.