બિલ્ડરો સાવધાન : કાયદામાં સુધારો : બિલ્ડરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે
તમારા સ્વપ્નના ઘર સાથે હવે કોઇ બિલ્ડર, ડેવલોપર કે પ્રમોટર કોઇ રમત રમી નહિ શકે કે છેતરપિંડી કરી નહિ શકે. કેન્દ્ર સરકાર ગ્રાહકોના હિતોને સુરક્ષિત કરવા માટે 105 વર્ષ જુના રજીસ્ટ્રેશન કાયદામાં બદલાવ કરવા જઇ રહી છે. આ ફેરફાર અમલી બન્યા બાદ બિલ્ડર પહેલા તે જયાં ફલેટ બનાવવાનો હોય તે ખેતર, મકાન કે પ્લોટનું પોતાના નામે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને પછી જ તે ફલેટ બનાવી શકશે. આ બાબતને ટુંક સમયમાં કેન્દ્રીય કેબીનેટની મંજુરી મળી શકે છે.
સરકારના પ્રસ્તાવિત રજીસ્ટ્રેશન (સંશોધન) વિધેયક 2013માં એવી જોગવાઇ કરવામાં આવી છે કે બિલ્ડર માટે કોઇપણ સંપત્તિ પર નિર્માણ કરતા પહેલા તેનુ રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત બનશે અનેક બિલ્ડર જમીનના માલિક પાસેથી રજીસ્ટ્રેશન કરાવ્યા વગર અનેક બીજી સમજુતી કરી લેતા હોય છે આના કારણે બિલ્ડરને રજીસ્ટ્રેશન ફી ચુકવવી નથી પડતી પરંતુ કોઇ ખરીદદાર કોઇ ફલેટ ખરીદતો હોય તો તેણે સ્થાવર મિલ્કતના જુના માલિક પાસેથી રજીસ્ટ્રેશન કરાવવુ પડે છે. એવામાં ખરીદદારનું હિત જળવાતુ નથી. અનેક વખત મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે.
આ સિવાય સરકારે રિયલ એસ્ટેટ (રેગ્યુલેશ એન્ડ ડેવલોપમેન્ટ) વિધેયકમાં પણ ખરીદનારના હિતો માટે અનેક જોગવાઇ કરી છે. વિધેયક અનુસાર કોઇપણ બિલ્ડર 1000 વર્ગમીટરથી વધુ જગ્યામાં ફલેટ બનાવે તો તેણે સંબંધિત ઓથોરિટીમાં રજીસ્ટર કરાવવાનું ફરજીયાત બનશે. કોઇ મુશ્કેલી ઉભી થાય તો ગ્રાહક બિલ્ડરની ફરિયાદ પણ ઓથોરીટીમાં કરી શકે છે. વિધેયકમાં નિヘતિ ભાડા બાદ રેન્ટ એગ્રીમેન્ટના રજીસ્ટ્રેશનની જોગવાઇ પણ હશે.
સરકારે પાવર ઓફ એટોર્નીનું રજીસ્ટ્રેશન પણ અનિવાર્ય કર્યું છે. રજીસ્ટ્રેશન વખતે તમે ઓછી ફી ભરી હોય તો રજીસ્ટ્રેશન અધિકારી નિયત સમયની અંદર તમારી પાસેથી બાકીની રકમ વસુલ કરી શકે છે. પ્રસ્તાવિત કાનુનમાં કેન્દ્ર સરકાર જમીનના તમામ દસ્તાવેજોને ડિજીટલ કરવાની પણ જોગવાઇ કરી રહી છે. આ ફેરફાર બાદ ખરીદદાર માટે સ્થાવર સંપત્તિ ખરીદવાનું સરળ બની જશે.