PMનું ભાષણ લાઇવ બતાવવા સામે પ.બંગાળની સરકારે ઉઠાવ્યો વાંધો
યુજીસી તરફથી 40 હજાર સંસ્થાનો માટે એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 11 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીનું ભાષણ લાઇવ બતાવવના આદેશ આપવામાં આવ્યા છે.
યુનિવર્સિટી ગ્રાંટ કમિશન તરફથી 40 હજાર સંસ્થાનો માટે એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, શિકાગોમાં સ્વામી વિવેકાનંદના ભાષણની 125મી તિથિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણને લાઇવ બતાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. 11 સપ્ટેમ્બરના રોજ આયોજિત પીએમના આ ભાષણનું જીવંત પ્રસારણ કરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર દ્વારા આ સર્ક્યુલર પર ધ્યાન નહીં આપવાનું કહેવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતા તમામ સંસ્થાનોને પશ્ચિમ બંગાળની સરકાર તરફથી નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તેઓ યુજીસીના આ સર્ક્યુલરને અવગણે. પશ્ચિમ બંગાળન શિક્ષણ મંત્રી પાર્થા ચેટર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્યને જાણકારી આપ્યા વિના આ પ્રકારનું કામ ન કરી શકે. રાજ્ય સરકારની પરવાનગી વિના કે રાજ્ય સરકારને સૂચિત કર્યા વિના આવું કામ ન કરી શકાય. અમે આ વાત નહીં સ્વીકારી શકીએ. આ સંપૂર્ણ રીતે શિક્ષણનું ભગવાકરણ કરવા જેવું કહેવાય. કોલેજ અને વિશ્વવિદ્યાલય યુજીસીના આ સર્ક્યુલર આવ્યા બાદ આશ્ચર્યચકિત છે. અમે સંસ્થાનને લોકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, યુજીસીના નિર્દેશોનું પાલન કરવાની કોઇ જરૂર નથી.