કોરોના વાયરસના કેસોમાં મોટો ઉછાળો, 24 કલાકમાં મળ્યા 28903 નવા દર્દી
દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસ ભયાનક રૂપ લેતો દેખાઈ રહ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસ ભયાનક રૂપ લેતો દેખાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશના અલગ અલગ રાજ્યોમાં ઝડપથી કોરોના વાયરસના કેસ વધ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારના આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 28903 નવા કેસ મળ્યા છે. આ ઉપરાંત કોરોના વાયરસથી 188 દર્દીના મોત પણ થયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,14,38,734 અને મૃતકોની સંખ્યા 1,59,044 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1,10,45,284 દર્દી રિકવર થયા છે જેમાંથી છેલ્લા 24 કલાકમાં રિકવર થનાર દર્દીઓની સંખ્યા 17,741 છે. દૈનિક કેસ વધ્યા બાદ દેશમાં સક્રિય કેસ પણ વધીને 2,34,406 થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે જેમાં અત્યાર સુધી 3,50,64,536 લોકોને કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
ગુજરાત અને મધ્ય પ્રદેશના શહેરોમાં નાઈટ કર્ફ્યુ
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર બાદ પંજાબ, કર્ણાટક, દિલ્લી, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. સતત વધી રહેલા કેસોએ માત્ર રાજ્યની જ નહિ પરંતુ કેન્દ્રની પણ ચિંતાઓ વધારી દીધી છે. કોરોનાના વધતા કેસોને જોતા ગુજરાત સરકારે બુધવારથી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 17 માર્ચથી લઈને 31 માર્ચ સુધી નાઈટ કર્ફ્યુનુ એલાન કરી દીધુ છે. ચારે શહેરોમાં નાઈટ કર્ફ્યુ રાતે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ સરકારે પણ ભોપાલ અને ઈંદોરમાં 17 માર્ચથી લઈને આગલા આદેશ સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.












Click it and Unblock the Notifications
