25 ઓક્ટોબરના રોજ આવશે 2જી કૌભાંડનો ચુકાદો
2જી કૌભાંડનો ચુકાદો સીબીઆઇ કોર્ટ 25 ઓક્ટોબરના રોજ આપશે.
સીબીઆઇની વિશેષ અદાલતે બુધવારે જણાવ્યું હતું કે, 2જી કૌભાંડ મામલે ચુકાદો 25 ઓક્ટોબરના રોજ આપવામાં આવશે. આ પહેલા અદાલતે તમામ પક્ષોને ઉપસ્થિત રહેવા અને તેમના સ્પષ્ટીકરણ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલાની સુનવણી એપ્રિલમાં પૂર્ણ થઇ હતી, આરોપીઓમાં પૂર્વ દૂરસંચાર મંત્રી એ.રાજા, દ્રમુક નેતા કનિમોઝીનું પણ નામ છે. આ મામલે સીબીઆઇ કોર્ટ હાલ ત્રણ કેસની સુનવણી કરી રહી છે, જેમાંથી બે સીબીઆઇ દ્વારા ફાઇલ કરવામાં આવ્યા છે અને ત્રીજો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા. સીબીઆઇના પહેલા કેસમાં રાજા અને કનિમોઝી સિવાય પૂર્વ દૂરસંચાર સચિવ સિદ્ધાર્થ બેહુરા, રાજાના તાત્કાલિક વ્યક્તિગત સચિવ એર.કે.ચંદોલિયા, સ્વાન ટેલિકોમના શાહિદ ઉસ્માન અને વિનોદ ગોયનકા, યૂનિટેક લિ.ના સંજય ચંદ્રા, રિલાયન્સ ધીરૂભાઇ અંબાણી ગ્રૂપ આરએડીએજીના ત્રણ અધિકારીઓ - ગૌતમ દોષી, સુરેન્દ્ર પિપારા અને હરી નાયર વિરુદ્ધ પણ સુનવણી થઇ છે.
આ મામલાના અન્ય આરોપીઓમાં કુસેગાંવ ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલ્સના આસિફ બલવા અને રાજીવ અગ્રવાલ, કલાઇગનર ટીવીના શરદ કુમાર અને બોલિવૂડ પ્રોડ્યૂસર કરીમ મોરાનીનો પણ સમાવેશ થાય છે. દૂરસંચાર કંપની સ્વાન ટેલિકોમ પ્રા.લિ, રિલાયન્સ ટેલિકોમ લિ. તથા યુનિટેક વાયરલેસ તમિલનાડુ પણ આ મામલે આરોપી છે. સીબીઆઇના બીજા કેસમાં એસ્સાર ગ્રૂપના રવિ રૂઇયા અને વિકાસ સર્રાફા, લૂપ ટેલિકોમના કિરણ ખેતાન અને તેમના પતિ આઈ.પી.ખેતાન પણ આરોપી છે. ઇડી દ્વારા ફાઇલ કરવામાં આવેલ ત્રીજા કેસમાં કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગના કેસમાં 19 લોકો વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે, જેમાં આરોપી તરીકે ડીએમકે સુપ્રીમો એમ.કરુણાનિધિના પત્નીનું નામ પણ છે.