2જી કૌભાંડ : એ રાજા, કનીમોજી, અમ્મલ સામે આરોપપત્ર દાખલ
ચેન્નાઇ, 25 એપ્રિલ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીની એક કોર્ટમાં ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા, ડીએમકેના વડા કરૂણાનિધિના દીકરી કનીમોજીની સામે સેકન્ડ જનરેશન સ્પેક્ટ્રમ (2G) ફાળવણી કૌભાંડના સંબંધમાં મની લોન્ડરિંગના કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી છે.
આરોપનામામાં કનીમોજીના માતા અને કરૂણાનિધિના પત્ની દયાલુ અમ્મલ, કલાઇંગર ટીવીના શરદ કુમાર, શાહિદ બલવા, વિનોદ ગોયેન્કા, કલાઇગ્નાર ટીવીના સીએફઓ અને સ્વાન ટેલિકોમના પ્રમોટર શાહિદ બલવાનું અને અન્યોના નામ પણ છે.
આ કેસમાં કુલ 19 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. કોર્ટે ઈડીના આરોપનામાને હાથ પર લેવા માટે 30 એપ્રિલની તારીક નક્કી કરી છે. ઈડીના લૉયર્સે કોર્ટને જણાવ્યું છે કે સ્વાન ટેલિકોમના પ્રમોટરોએ ડીએમકે પાર્ટી સંચાલિત કલાઈગ્નાર ટીવીને રૂપિયા 200 કરોડ ચૂકવ્યા હતા.
દેશમાં 2જી સ્પેક્ટ્રમ ફાળવણીના બહુચર્ચિત કૌભાંડ કેસની ચાલી રહેલી સુનવણી દરમિયાન 100થી વધારે સાક્ષીઓએ નિવેદનો આપ્યા છે. આ નિવેદનો 3000થી વધારે પાનાઓમાં નોંધવામાં આવ્યા છે. આ કૌભાંડના આરોપીઓમાં પૂર્વ ટેલિકોમ પ્રધાન એ રાજા અને દ્રમુક સાંસદ કનીમોજીનો પણ સમાવેશ થાય છે.
2જી કૌભાંડમાં અદાલતે 22 ઑક્ટોબર, 2011ના રોજ 17 આરોપીઓ વિરુધ્ધ કાયદાની વિવિધ કલમો અંતર્ગત આરોપો ઘડ્યા હતા. સીબીઆઇના વિશેષ જજ ઓ પી સોનીએ 17 આરોપીઓ વિરુધ્ધ આરોપો ઘડ્યા હતા. ત્યાર બાદ 11 નવેમ્બર, 2011થી આ કેસમાં દૈનિક ધોરણે સુનવણી શરૂ કરવામાં આવી હતી.
જેમની સામે આરોપો ઘડવામાં આવ્યા હતા, તેમાં ત્રણ ટેલિકોમ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. પ્રથમ બે આરોપ પત્રોમાં કહેવામાં આવ્યું હતું કે આરોપીઓની સામે પ્રાથમિક સ્તરે જરૂરી પુરાવા મળ્યા છે. છેલ્લા એક વર્ષમાં અદાલતે એ રાજાની સાથે 16 અન્ય આરોપીઓ અને એસ્સાર તથા લૂપ ટેલિકોમ અંગે સુનવણી કરી છે.
2જી કૌભાંડ સાથે સંકળાયેલા મુદ્દામાં તેમને આરોપીઓની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. અદાલતે એ રાજા જેમાં મુખ્ય આરોપી છે તેમાં અત્યાર સુધીમાં 77 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે. આ ઉપરાંત એસ્સાર ઓઇલ અને લૂપ ટેલિકોમની સામે 28 સાક્ષીઓએ નિવેદનો આપ્યા છે. જજ દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 3000 પેજમાં સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે.
નોંધનીય છે કે વર્તમાન સમયમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે યુપીએના સાથી પક્ષોના પ્રધાનો પર આરોપ દાખલ થવાથી મત મેળવવામાં મુશ્કેલી નડે છે કે સરળતાથી લોકો સ્વીકારીને આગળ વધશે તે ચૂંટણી પરિણામોમાં જાણવા મળશે.