ડોકલામ વિવાદ પર પૂર્ણવિરામ, આ 5 અધિકારીઓનો મોટો ફાળો
મળો, મોદી સરકારના એ પાંચ અધિકારીઓને જેમણે ડોકલામ વિવાદ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો.
70 દિવસના સ્ટેન્ડઓફ બાદ ભારત અને ચીન આખરે ડોકલામનો વિવાદ ઉકેલવામાં સફળ રહ્યાં હતા. સાથે જ ચીને ભારતને આ ઘટના પરથી શીખ લેવાનું જણાવ્યું હતું. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(PLA) દ્વારા મંગળવારે ભારતને આ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ મુદ્દે તટસ્થતાથી અને રાજનૈતિક સ્તરે વાતચીત કરી ઉકેલ લાવવામાં આવ્યો હતો. ભારત તરફથી આ વાતચીતમાં દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મહત્વની ભૂમિકા ભજવી હતી. ચીન તરફથી જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ડોકલામની જમીન તમારી છે? ત્યારે અજીત ડોભાલે સામો પ્રશ્ન કરતાં પૂછ્યું હતું કે, શું દરેક વિવાદિત જમીન તમારી છે? અજીત ડોભાલની આવી જ કેટલીક વાતોએ ચીનને પોતાનું વલણ બદલવા માટે પ્રેરિત કર્યું હોવાનું કહેવાય છે. વિવાદ તો સમાપ્ત થયો જ છે, સાથે જ ચીને એ જમીન પર રોડ નિર્માણનું કામ પણ બંધ કર્યું છે.
ચીન શાંત કઇ રીતે પડ્યું?
ડોકલામ વિવાદ દરમિયાન ચીન મીડિયા તરફથી સતત રોષભર્યા નિવેદનો સામે આવતા હતા, આ દરમિયાન ભારતે શાંતિ જાળવી રાખી હતી. ભારતનું વલણ શાંત છતાં મક્કમ હતું. ભારતે ડોકલામ પરથી પોતાની સેના પાછી નહીં ખેંચવાનો નિર્ણય લીધો હતો અને જરૂર પડ્યે ચીનને કડક શબ્દોમાં જવાબ આપ્યા હતા. ડોકલામ મામલે ભારતની આ જીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ અધિકારીઓની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહી.
અજીત ડોભાલ - રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
આ વિવાદના ઉકેલમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હેમ્બર્ગ મુલાકાત બાદ બીજિંગમાં ચીનના પોતાના સમકક્ષ યાંગ જેઇકી સાથે મુલાકાત કરી હતી. આ પ્રથમ અધિકૃત મુલાકાત હતી, જેમાં બે મોટા અધિકારીઓએ ડોકલામ વિવાદ પર ખુલીને ચર્ચા કરી હતી. શાંતિ જાળવી રાખવાના મુદ્દે થયેલ આ મુલાકાતમાં અજીત ડોભાલે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત પોતાના નિર્ણય પર મક્કમ રહેશે. આ આખા ઘટનાક્રમમાં સેના અને રાજકીય નેતાઓ વચ્ચેના મુખ્ય સંયોજક હતા અજીત ડોભાલ. સીમા પર તણાવ વચ્ચે પણ તેમણે સતત ભૂટાનને બચાવ અને સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું.
જનરલ બિપિન રાવત - સેના પ્રમુખ
ડોકલામ વિવાદ પર ચીનને પાછું પાડવામાં સેના પ્રમુખ બિપિન રાવતે પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે સતત આ પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે એ વાત સુનિશ્ચિત કરી હતી કે, ચીન કોઇ પણ રીતે એવી સ્થિતિમાં નથી કે પોતાની સેના મોકલી કે તેનો ઉપયોગ કરી ભારતને દબાણમાં મુકી શકે. ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીને વિભિન્ન સ્થળોએ રોકી રાખી છે, જેમાં યાટુંગ અને ફરી ડજોંગનો પણ સમાવેશ થાય છે.
લેફ્ટનેંટ જનરલ અનિલ ભટ્ટ - ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઑપરેશન
કાશ્મીર ફ્રંટ પર આતંકીઓ વિરુદ્ધના અભિયાનમાં ભારતીય સેનાએ કરેલ કાર્યવાહીમાં ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઑપરેશન લેફ્ટનેંટ અનિલ ભટ્ટની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. એ જ રીતે ડોકલામ મામલે પણ અનિલ ભટ્ટે મહત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો છે. તેમણે 24 કલાક લાઇન ઓફ એક્ચ્યૂઅલ કંટ્રોલ(એસએસી) પર નજર રાખી હતી. ભારતીય સેનાના વૉર રૂમ દ્વારા ઘણીવાર ટૉપ લીડરશિપને જાણકારીઓ પૂરી પાડવામાં આવતી હતી.
એસ. જયશંકર - વિદેશ સચિવ
વિદેશ સચિવ એસ. જયશંકરે પણ ડોકલામના મુદ્દે ચીનના વલણમાં ફેરફાર લાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેમણે પોતાના અનુભવનો ઉપયોગ કરતાં આ મુદ્દે ચીન સાથે શાંતિપૂર્ણ રીતે કામ લેવાની રણનીતિ બનાવી અને રાજકીય ક્ષેત્રે આ સમસ્યાનો ઉકેલ શોધવામાં સફળ રહ્યા. ચીન તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનો પર ધ્યાન ન આપતાં વિદેશ મંત્રાલય દ્વારા શાંત વલણ અપનાવવામાં આવ્યું. ભૂટાન સાથેના સંબંધો જાળવી રાખવામાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.
વિજય કેશવ ગોખલે - ચીનમાં ભારતના રાજદૂત
ડોકલામ વિવાદનો ઉકેલ મેળવવામાં બીજિંગમાં પણ ભારત તરફથી વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેની તૈયારી ચીનમાં ભારતના રાજદૂત વિજય કેશવ ગોખલેએ કરી હતી. ઉચ્ચસ્તરીય સૂત્રો અનુસાર, પોતાના કૂટનૈતિક કૌશલ્યોના ઉપયોગ વડે તેઓ ચીન પર દબાણ ઊભું કરવામાં સફળ થયા હતા. 1981 બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી વિદેશ મંત્રાલયના સચિવ(આર્થિક સંબંધ)ના રૂપમાં પરત ફરશે.