જાણો 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો કેવા પડધા પાડશે ભવિષ્યમાં
આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે. હાલ તો મતગણતરી ચાલી રહી છે. પણ 12 વાગ્યા સુધીના ચૂંટણીના પરિણામોએ અનેક વસ્તુઓ પાણીની જેમ સ્પષ્ટ કરી દીધી છે. જ્યાં પશ્ચિમ બંગાળમાં ફરી એક વાર મમતા બેનર્જીએ પોતાની જીતનો પરચંમ લહેરાવ્યો છે. તો આસામમાં ભાજપે ઇતિહાસ સર્જ્યો છે. તો બીજી તરફ અમ્મા પણ ફરી એક વાર તમિલનાડુના મુખ્યમંત્રી બનવાના છે.
કેરળમાં ડાબેરી આગળ છે. પણ કેરળમાં પહેલી વાર ઓ. રાજગોપાલે ભાજપનું ખાતું ખોલવામાં સફળતા આપી છે. જે એક મોટી વાત છે. તો એક્સિટ પોલની ભવિષ્યવાણી મુજબ પોંડીચેરીમાં કોંગ્રેસ આગળ છે અને તેનું એક કારણ તે પણ છે કે તે અહીં ડીએમકે સાથે ગઠબંધનમાં છે. જો કે આ ચૂંટણીમાં મોટા પાયે કોંગ્રેસનું પત્તું સાફ થઇ ગયું છે. જેણે કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી દીધુ છે.
ત્યારે આ પાંચ રાજ્યોની હાર જીત માટે કેવા કેવા કારણો જવાબદાર છે. અત્યાર સુધીના ચૂંટણીના પરિણામો શું કહે છે. અને તેનાથી આવનારા સમયમાં કેન્દ્રની રાજનિતિ પર કેવા કેવા નવા સમીકરણો રચાઇ શકે છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...
આસામ: ભાજપના જીતની શરૂઆત
સર્વાનંદ સોનોવાલના નેતૃત્વમાં પહેલીવાર આસામમાં ભાજપનું કમળ ખુલ્યું છે. નોંધનીય છે કે પાછલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 68 સીટો મળી હતી અને ભાજપને ખાલી 6 પણ આ વખતે આસામની ચૂંટણીનો આખો માહોલ જ બદલાઇ ગયો છે. ભાજપને 83 સીટો મળી ચૂકી છે અને કોંગ્રેસ 24 સીટો સાથે હાસિયમાં જતી રહી છે. આસામની આ જીત ભાજપ માટે પણ ખૂબ જ જરૂરી હતી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત માટે સર્વાનંદને અભિનંદન પણ આપ્યા છે.
આસામમાં ભાજપની જીતના કારણો
મોદીએ જે રીતે સત્તા સંભાળવાની સાથે જ પૂર્વોત્તર રાજ્યો માટે નવી યોજનાઓ બહાર પાડી, ભારતીય રેલને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડ્યા, મોટી સંખ્યામાં રેલીઓ કરી, નક્સલવાદ તરફ યુદ્ધ સ્તરીય અભિયાન કર્યું તેનાથી તે આસામમાં કોંગ્રેસ વિરોધી લહેર ઊભી કરવામાં સફળ રહ્યા અને તેના કારણ જ ભાજપને આ જીત મળી છે. વળી સર્વાનંદ સોનોવાલની છબી આસામમાં એક સારા નેતા તરીકે છે.
દીદી બીજી વાર બનશે મુખ્યમંત્રી
તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ 219 બેઠકો સાથે મમતાની બીજી પારીની વાતને પાક્કી કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને 7 જ બેઠકો મળી છે. અને કોંગ્રેસ ડાબેરી ગઠબંધનના કારણે 69 બેઠકો પર છે. પત્રકારો સાથે પોતાની જીત વિષે ખુશી વ્યક્ત કરતા મમતાએ કહ્યું કે આ મારો વિજય નહીં જનતાનો વિજય છે.
દીદીની જીતના કારણો
ચૂંટણી પહેલા તૃણમુલ કોંગ્રેસના મોટા અધિકારીઓ પર સ્ટ્રીંગ ઓપરેશન દ્વારા જે સોપો પાડ્યો હતો તેની અસર તો થઇ પણ "માં, માટી અને માનુષ"ના વચન અને મમતાની "એકલા ચાલો"ની નીતીએ પશ્ચિમ બંગાળમાં મમતાને પોતાના દમ પર જીત અપાવી છે. વળી સુભાષચંદ્રના દસ્તાવેજો અને મમતાના બંગાળ પ્રેમ અને તેની સાફ છબી જીતના કારણો બન્યા હતા.
તમિલનાડુમાં અમ્મા
તમિલનાડુમાં ફરી એક વાર AIADMK પાર્ટીની જયલલિતાની સરકાર બનશે. નોંધનીય છે કે 1984 પછી પહેલી વાર તેવું બની રહ્યું છે કે એકની એક પાર્ટી બીજી વાર સત્તામાં આવી રહી હોય. સાથે જ આ જીત જયલલિતા માટે પણ ખાસ છે કારણ કે આ જીત તેમણે ખરેખર પોતાના દમ પર જીતી છે. જે કરુણાનિધિ અને અને કોંગ્રેસના સપનાને તોડીને ચકચૂર કરી દીધા છે. નોંધનીય છે કે અહીં DMDK કરતા પણ ભાજપને વધુ મત મળ્યા છે.
જીતના કારણો જીતનો મહોલ
ચેન્નઇમાં હાલ AIADMKની જીત બાદ લોકોમાં દિવાળી જેવો માહોલ સ્પષ્ટ જોવા મળે છે. તમિલનાડુમાં પૂર બાદ જયલલિતાએ કરેલા રાહત કાર્યો અને તેમના વિકાસલક્ષી કાર્યોના લીધે તેમને ફરી સત્તા મળી છે. તેમની જીત પર જ્યાં મોદીએ જયાને અભિનંદન આપ્યા ત્યાં જ જયાએ જીત પછી કહ્યું કે "મારી જીત ડીએમકેના પરિવારલક્ષી રાજકારણનો અંત બતાવે છે."
પોંડિચેરી
પોંડિચેરી એક માત્ર તેવું રાજ્ય છે જ્યાં કોંગ્રેસ તેનું નાક બચાવવામાં સફળ રહી છે. પોડિંચેરીમાં કોંગ્રેસના ગઠબંધન વાળો પક્ષ આગળ છે. જો કે પાંચે રાજ્યોમાં કોંગ્રેસના જે હાલ થયા છે તે બાદ રાહુલ ગાંધીએ પક્ષની હારનો સ્વીકાર કર્યો છે. અને જીતેલી પાર્ટીને અભિનંદન આપ્યા છે.
કોનો ફાયદો કોને નુક્શાન?
જો કે આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીથી કેન્દ્રમાં બેઠેલી ભાજપને એક રીતે ફાયદો થયો છે. દેશભરમાં તેના અને તેના ગઠબંધન વાળી સરકારોની સંખ્યામાં વધારો થયો છે. જે 2019ની ચૂંટણીમાં પણ પોતાનો દબદબો બનાવી શકે છે. કોંગ્રેસ હાસિયામાં ગઇ છે પણ મમતા અને અમ્માની જીતે પ્રદેશિક સરકારોનો દબદબો પણ બનાવી રાખ્યો છે.