મુંબઇમાં આજે 50 હજાર જેટલા ખેડૂતો વિધાનસભાનો ધેરાવો કરશે
ઓલ ઇન્ડિયા ખેડૂત મહાસભાના બેનર હેઠળ નાસિકથી સિંચાઇ અને દેવા, પાક મૂલ્યાંકન જેવી માંગો સાથે નીકળેલા 35 હજારથી વધુ ખેડૂતો મુંબઇમાં આજે હજી મોટી સંખ્યામાં જોડાઇને વિધાનસભાને ધેરશે.
નાસિકમાં 6 માર્ચથી લોંગ માર્ચ પર નીકળેલા મહારાષ્ટ્રના વિભિન્ન વિસ્તારોનાં 35 હજારથી પણ વધુ ખેડૂતો રવિવારે મુંબઇ પહોંચ્યા હતા. ખેડૂતોના આ પ્રદર્શન વચ્ચે રવિવારે મોડી રાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક હાઇ લેવલ મીટિંગ પણ કરી હતી. પણ મીટિંગ પછી 6 સદસ્યોની કમિટિ પણ બનાવી હતી. જો કે તેમ છતાં આ તમામથી નાખુશ અને પોતાની માંગોને લઇને પ્રતિબદ્ધ તેવા ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં જોડાઇને વિધાનસભાનો ધેરાવો કરશે. જેમાં લગભગ 50 હજાર ખેડૂતો જોડાશે તેમ માનવામાં આવે છે. બીજી તરફ શિવસેના અને મનસેએ આ આંદોલનનું સમર્થન કર્યું છે. લાલ ટોપી અને લાલ સાડીમાં સજ્જ ખેડૂતોનું આ લાલ આંદોલવ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારવા સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોની દેવા માફીની માંગ છે. સાથે જ તેમના પાકનું યોગ્ય મુલ્યાંકન થાય અને પાણી અને સિંચાઇને લગતા તેમના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે તેવા પ્રશ્નો સાથે તે મુંબઇ પહોંચ્યા છે. ઓલ ઇન્ડિયા ખેડૂત મહાસભાના બેનર હેઠળ નીકળેલા આ ખેડૂતોએ મુંબઇના આઝાદ મેદાન ખાતે ડેરો નાખ્યો છે. અને તે ત્યાંથી જ આજે વિધાનસભાનો ધેરાવો કરશે. જો કે બીજી તરફ આટલી મોટી સંખ્યામાં ખેડૂતોની રેલી નીકળવાની હોવાના કારણે સરકારે પણ ટ્રાફિક સમસ્યા યોગ્ય રીતે જળવાઇ રહે અને સ્થિતિ બેકાબુ ના થાય તે માટે વ્યવસ્થા કરી છે. તેમ છતાં મહારાષ્ટ્રના ખેડૂતો માટે આજે ચોક્કસથી મોટો દિવસ છે. કારણ કે આજે જગતના નાથ કહેવાતો ખેડૂતો લાલ રંગમાં રંગાઇને સરકાર સામે ખુલ્લો પડકાર ફેકવાનો છે.