નીરવ મોદી પાસેથી આભૂષણ ખરીદનારની તપાસ કરશે આવકવેરા વિભાગ
પંજાબ નેશનલ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને દેશમાંથી ભાગી ગયેલા નીરવ મોદી ઉપરાંત હવે એ લોકોની પણ આવકવેરા વિભાગ તપાસ કરવાનો છે જેમણે આ હીરા વેપારી સાથે જોડાયેલી કંપનીઓ પાસેથી આભૂષણો ખરીદ્યા હતા.
પંજાબ નેશનલ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને દેશમાંથી ભાગી ગયેલા નીરવ મોદી ઉપરાંત હવે એ લોકોની પણ આવકવેરા વિભાગ તપાસ કરવાનો છે જેમણે આ હીરા વેપારી સાથે જોડાયેલી કંપનીઓ પાસેથી આભૂષણો ખરીદી કર્યા હતા. આવકવેરા વિભાગે નીરવ મોદીની કંપનીઓ પાસેથી આભૂષણ ખરીદનારા 50 થી વધુ અમીર લોકોના આવકવેરા રિટર્નની ફરીથી તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. આવકવેરા વિભાગે આ લોકોને નોટિસ મોકલીને તેમના આવકના સ્ત્રોત વિશે જાણકારી આપવા માટે કહ્યુ છે.
આવકવેરા વિભાગને નોટિસનો જવાબ આપતા કેટલાક લોકોએ કહ્યુ કે તેમણે નીરવ મોદીની કંપનીઓને કોઈ રોકડ ચૂકવણી કરી નથી. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ દસ્તાવેજોથી માલુમ પડે છે કે નીરવ મોદીના ફર્મમાંથી મોંઘા આભૂષણો ખરીદનારા કેટલાક લોકોએ અલગ અલગ ભાગમાં પેમેન્ટ કર્યુ. ખરીદારોએ પેમેન્ટ માટે ચેક, કાર્ડ (ક્રેડિટ, ડેબિટ) અને રોકડથી ચૂકવણી કરી છે.
જો કે આવકવેરા વિભાગની નોટિસનો જવાબ આપતા ખરીદારોએ કહ્યુ છે કે તેમણે રોકડથી ચૂકવણી કરી નથી. જો કે તેમનું આ નિવેદન વિભાગ પાસે આવેલા આંકડાથી મેળ ખાતુ નથી. સૂત્રોએ જણાવ્યુ કે રોકડ ચૂકવણીને છૂપાવવાનો મામલો સામે આવ્યો છે. ઘણા કેસમાં તો તે લાખો રૂપિયા છે.