આ મહિનાના અંત સુધીમાં કોંગ્રેસ CWC ની બેઠક યોજાશે, આંતરિક મુદ્દે ચર્ચા થશે-સૂત્રો
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આ મહિનાના અંત સુધીમાં યોજાય તેવી શક્યતા છે.
નવી દિલ્હી, 06 ઓક્ટોબર : કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આ મહિનાના અંત સુધીમાં યોજાય તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, G-23 ના અસંતુષ્ટ જૂથના નેતાઓ સહિત અનેક નેતાઓ દ્વારા પક્ષમાં ચાલી રહેલી અશાંતિ પર આંતરિક પરામર્શની માંગણી કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટી બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદ સહિત ઘણા નેતાઓએ પણ બેઠક બોલાવવા માટે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, તેમ છતાં સૂત્રોએ જણાવ્યું છે કે, પાર્ટીની ટોચની નિર્ણય લેતી સંસ્થા CWC આ મહિને પાર્ટીની આંતરિક બાબતો પર ચર્ચા કરવા માટે મળે તેવી શક્યતા છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલેથી જ સંકેત આપ્યો છે કે CWC ની બેઠક ટૂંક સમયમાં બોલાવવામાં આવશે અને આંતરિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસે તેના નવા નિયમિત પ્રમુખની પણ પસંદગી કરવાની છે અને બેઠકમાં ચૂંટણીના સમયપત્રક પર ચર્ચા થવાની શક્યતા છે.
સંગઠનાત્મક સુધારાની માંગણી કરતા પક્ષના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે પક્ષના આંતરિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સીડબલ્યુસીની બેઠક તાત્કાલિક બોલાવવાની માંગ કરી છે. પાર્ટીમાં ચાલી રહેલી ગરબડ અને પંજાબના સહિતના મુદ્દે ચર્ચા થવી જોઈએ. પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ આ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને સીડબલ્યુસીની બેઠક તાત્કાલિક બોલાવવાની માંગ કરી છે.
આઝાદે આ મામલે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને CWC ની બેઠકની માંગણી કરી હતી. તેમણે કહ્યું છે કે પાર્ટીએ સૂચનોનું સ્વાગત કરવું જોઈએ સિબ્બલે તાજેતરમાં જ નિયમિત પ્રમુખની ગેરહાજરીમાં પાર્ટીમાં નિર્ણય લેવાની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને તમામ વરિષ્ઠ નેતાઓને સાંભળવા માટે સંવાદની માંગ કરી હતી. આઝાદ અને કેટલાક અન્ય G-23 નેતાઓ CWC નો ભાગ છે, જ્યારે સિબ્બલ નથી.