ડેન્ગ્યુનો પ્રકોપ વધતા રાજ્યોમાં નિષ્ણાતોની ટીમ મોકલાશે, મનસુખ માંડવિયાએ બેઠક યોજી!
રાજધાની દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં કોરોના મહામારી વચ્ચે હવે ડેન્ગ્યુનો ખતરો વધી રહ્યો છે. દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે અત્યાર સુધીમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કેસની સંખ્યા વધીને 1537 થઈ ગઈ છે.
નવી દિલ્હી, 01 નવેમ્બર : રાજધાની દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં કોરોના મહામારી વચ્ચે હવે ડેન્ગ્યુનો ખતરો વધી રહ્યો છે. દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે અત્યાર સુધીમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કેસની સંખ્યા વધીને 1537 થઈ ગઈ છે. દિલ્હીમાં ડેન્ગ્યુના નવા કેસની સંખ્યા કોવિડ કરતા વધુ નોંધાઈ રહી છે. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 531 નવા કેસ નોંધાયા છે. કેસની ગતિ પર બ્રેક લગાવવા માટે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આજે દિલ્હીમાં ડેન્ગ્યુની સ્થિતિ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.
બેઠકમાં ડેન્ગ્યુને ફેલાતો રોકવાના વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ સામેની લડાઈમાં હોટસ્પોટ વિસ્તારોની ઓળખ, ફોગિંગ (દવા છંટકાવ) અને સમયસર સારવાર જેવી જમીની પહેલ કરવી જોઈએ. ડેન્ગ્યુના વધતા જતા કેસો સાથે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાંતોની ટીમ પણ રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે. મનસુખ માંડવિયાએ દિલ્હીમાં ડેન્ગ્યુની સ્થિતિની સમીક્ષા કરતી વખતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સક્રિય સંકલન પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે ડેન્ગ્યુના ટેસ્ટિંગને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો.
ડેન્ગ્યુ અંગે સોમવારે મળેલી બેઠકમાં નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ અને નેશનલ વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન દિલ્હીમાં કેસ વધ્યા પછી અરવિંદ કેજરીવાલ સરકારે કહ્યું કે જો જરૂર પડે તો કોરોના વાયરસ માટે આરક્ષિત બેડનો ઉપયોગ વેક્ટર-જન્ય રોગોથી પીડિત દર્દીઓની સારવાર માટે કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં દિલ્હીમાં ડેન્ગ્યુના 531 નવા કેસ નોંધાયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.