મોદીને કુમાર વિશ્વાસનો ખુલ્લો પડકાર, હિંમત હોય તો અમેઠીથી ચૂંટણી લડી બતાવે
નવી દિલ્હી, 29 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા કવિ કુમાર વિશ્વાસ અમેઠીથી ચૂંટણી લડશે. કુમાર વિશ્વાસે નરેન્દ્ર મોદીને અમેઠીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. કુમાર વિશ્વાસે કહ્યું છે કે તે રાહુલ ગાંધી વિરૂદ્ધ અમેઠીથી ચૂંટણી લડશે જો હિંમત હોય તો ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી લડી બતાવે.
તેમને સીધે સીધા ભાજપના કદાવર નેતા નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ અને નિતિન ગડકરીને પડકાર ફેંક્યો છે. આટલું જ નહી કુમાર વિશ્વાસે નરેન્દ્ર મોદીને વંશવાદના મુદ્દે પણ આડેહાથ લીધા હતા. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર વંશવાદનો આરોપ લગાવે છે, જ્યારે ભાજપમાં પણ વંશવાદની પરંપરા યથાવત છે. ઘણા શહેજાદા વંશ પરંપરાથી આગળ વધી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ ભાજપમાંથી આ વંશવાદ ખતમ કરવા માટે શું કર્યું?
તેમણે કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે પોતાના ભાષણમાં જે શહેજાદાનું નામ તે વારંવાર લે છે, જો સાચે જ તેમને વંશવાદથી નફરત છે તો તેમના વિરૂદ્ધ અમેઠીમાંથી ચૂંટણી લડે. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે કોંગ્રેસના નિર્ણયો 10 જનપથથી થાય છે, ભાજપના નિર્ણયો નાગપુરથી થાય છે જ્યારે આમ આદમી પાર્ટીના નિર્ણયો પ્રજા લે છે.
જો કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીના શાનદાર પ્રદર્શનથી ઉત્સાહિત આમ આદમી પાર્ટી (આપ)ના નેતા કુમાર વિશ્વાસે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીના વિરૂદ્ધ લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત વચ્ચે રાહુલ ગાંધીના મતવિસ્તાર અમેઠીમાં 27 ડિસેમ્બરથી 'આપ'ની 'ઝાડુ સંદેશ યાત્રા'માં ભાગ લેવા પહોંચ્યા ન હતા.