ચેન્નાઇ, 20 માર્ચઃ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવા નહીં માગતા અડવાણીને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજું નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં પાર્ટીએ જણાવ્યું છે કે, લાલ કૃષ્ણ અડવાણી જે બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે, ત્યાંથી ચૂંટણી લડી શકે છે. ત્યારબાદ અડવાણીએ પોતાનું નિવેદન આપ્યું હતું કે તેઓ ગાંધીનગરથી ચૂંટણી લડશે.
પત્રકાર પરિષદ સંબોધતા પક્ષના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે, અડવાણીને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે એ વાત એકદમ ખોટી છે. તેમની પાસે બે વિકલ્પ છે, તેઓ ગાંધીનગર અને ભોપાલ ગમે તે બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ત્યારબાદ અડવાણીએ પોતાનું નિવેદન આપ્યું હતું કે તેઓ ગાંધીનગરથી ચૂંટણી લડશે.
અડવાણી પોતે ભોપાલથી ચૂંટણી લડવા માગે છે ગાંધીનગરથી નહીં. પરંતુ પાર્ટી તેમને ગાંધીનગર બેઠકથી જ ચૂંટણી લડાવવા માંગે છે. જોકે તેમને મનાવવા માટે પાર્ટીના મોદી, સુષમા સહિતના નેતાઓ આજે તેમને મળવા ગયા હતા. જોકે સવાલ એ ઉઠે છે કે ભાજપને રાષ્ટ્રીય સ્વરૂપ આપનાર અડવાણીને આજે પોતાની પસંગીની બેઠક માંગવા માટે પણ 'આજીજી' કરવી પડે છે? જોકે આજે સાંજે પાર્ટી અધ્યક્ષે એવી જાહેરાત કરી હતી કે અડવાણીજી લોકસભાની ચૂંટણી જ્યાંથી લડવા માગતા હોય ત્યાંથી તેઓ લડી શકે છે. ત્યારબાદ અડવાણીનું નિવેદન આવ્યું કે તેઓ ચૂંટણી ગાંધીનગરથી જ લડશે.
નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઇકાલે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, ગુજરાતના 21મી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. આ યાદીમાં વડોદરાથી નરેન્દ્ર મોદીનું અને ગાંધીનગરથી લાલ કૃષ્ણ અડવાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગરથી પોતાના નામની ઉમેદવારી પક્ષ દ્વારા નોંધાવવામાં આવતા અડવાણી નારાજ થયા હતા. જેમને મનાવવાનો દોર ગઇકાલથી શરૂ થઇ ગયો હતો. પાર્ટીના અનેક નેતાઓ અને સંઘ દ્વારા તેમની સાથે વાત કરવામાં આવ્યા બાદ આજે પક્ષના અધ્યક્ષ દ્વારા અડવાણી પાસે બે વિકલ્પ હોવાનું જણાવ્યું છે. તો ચાલો તસવીરો થકી જાણીએ અડવાણી અને ગાંધીનગર બેઠક સાથે જોડાયેલો ઘટનાક્રમ.
ગાંધીનગરથી ઉમેદવાર
ગઇ કાલે જાહેર થયેલા ગુજરાતના 21 ઉમેદવારોમાં ગાંધીનગર ખાતેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરથી ચૂંટણી નહીં લડવા માગતા અડવાણી આ જાહેરાત બાદ નારાજ થયા છે અને તેથી સંઘે હસ્તક્ષેપ કરવો પડ્યો છે.
ગાંધીનગરથી હારી જવાનો સતાવી રહ્યો છે ભય
જે રીતે લાલ કૃષ્ણ અડવાણી દ્વારા મોદી પ્રત્યે નારાજગી દર્શાવવામાં આવી રહી છે અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર મત વિસ્તારમાં જેવો દેખાવ કરવામાં આવી રહ્યો છે, તેને જોઇને અડવાણીને કદાચ એ વાતની શંકા સતાવી રહી હશે કે મોદીના સમર્થકો તેમને ગાંધીનગરમાં હરાવી શકે છે, અને તેથી જ તેઓ ગાંધીનગર ખાતેથી ચૂંટણી લડવા માગતા નથી.
ભોપાલથી લડવા માગે છે અડવાણી
ગાંધીનગરની બેઠકમાં હારનો ભય રહેતા અડવાણીએ પોતાના સમર્થક શિવરાજ સિંહ ચૌહાણના રાજ્ય મધ્ય પ્રદેશના ભોપાલમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. આ માટે તેઓ છેલ્લા ઘણા મહિનાથી તૈયારી પણ કરી રહ્યાં હતા, અડવાણી છેલ્લા કેટલાક મહિનાથી ભોપાલની યાત્રા કરતા હતા અને ત્યાં પોતાની તરફેણમાં માહોલ બનાવી રહ્યાં હતા. જો તેઓ ભોપાલથી ચૂંટણી લડે તો મધ્ય પ્રદેશથી પોતાના જીતેલા સમર્થકો સાથે કેન્દ્રમાં પોતાની મજબૂતી રજૂ કરી શકે છે.
શું કહ્યું હતું સંઘે
અડવાણી દ્વારા બેઠક અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવ્યા બાદ સંઘ દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો છે. સમાચાર પત્ર ટેલિગ્રાફમાં છપાયેલા અહેવાલ અનુસાર સંઘે કહ્યું છે કે, બધા જ નેતાઓએ ભાજપ સંસંદીય બોર્ડની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેને માનવો પડશે. અડવાણીને ગાંધીનગરથી ચૂંટણી લડવી હોય તો લડે નહીંતર રહેવા દે.
નારાજ અડવાણીને મનાવવા દિગ્ગજોની ફોજ
ગાંધીનગર બેઠક પરથી પોતાનું નામ બોલાયા બાદ અડવાણી નારાજ થઇ ગયા હતા. ચૂંટણી પહેલા અડવાણીની નારાજગીની અસર ચૂંટણીમાં ના પડે તેથી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમને મનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં સુષમા સ્વરાજ, નીતિન ગડકરી, વૈંકૈયા નાયડૂ, અરૂણ જેટલી, રાજનાથ સિંહ અને નરેન્દ્ર મોદી પણ તેમને મનાવવા પહોંચ્યા હતા.