ગોવામાં ભાજપની બેઠકઃ આજે પણ નહીં આવે અડવાણી
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અડવાણી ભાજપના પદાધિકારીઓની બેઠકમાં સામેલ થવા માટે ગોવા પહોંચ્યા નહોતા, ત્યારે કહેવામાં આવ્યું હતું કે, તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. પરંતુ એવી ચર્ચાઓ જાગી હતી કે, મોદી સાથેના અણબનાવના કારણે અડવાણીએ આ બેઠકમાં હાજરી નહીં આપવા માંદગીનું કારણ આગળ કર્યું છે.
અડવાણીની જેમ અન્ય નેતાઓમાં પાર્ટી ઉપાધ્યક્ષ ઉમા ભારતી, જનરલ સેક્રેટરી વરૂણ ગાંધી, રાજ્યસભામાં બીજેપીના ડેપ્યુટી લીડર રવિ શંકર પ્રસાદ, જસવંત સિંહ, અને શત્રૂઘ્ન સિન્હા પણ આ બેઠકમાં હાજર નહી રહે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
કાર્યકારિણીની બેઠક દરમિયાન આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રીની ભૂમિકાનો મુદ્દો છવાયેલો રહે તેવી સંભાવના છે. પાર્ટીનો એક વર્ગ તેમને ભાજપ પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવાની જોરદાર માંગ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કેટલાક પદાધિકારી કાર્યકારિણીની બેઠક દરમિયાન મોદીને પ્રચાર સમિતિના પ્રમુખ જાહેર કરવા માટે દબાવ નાખી શકે છે. પરંતુ આ મુદ્દા પર પાર્ટીની અંદર હજી સામાન્ય મંતવ્યનો અભાવ જોવા મળે છે.