Parliament Monsoon Session: સાંસદો માટે એડવાઈઝરી જાહેર, સંસદમાં નહિ ઉડાવી શકે પેમ્ફલેટ
18મી જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર અંગે માનનીય સભ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
નવી દિલ્લીઃ 18મી જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર અંગે માનનીય સભ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સાંસદોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ગૃહમાં કોઈપણ પેમ્ફલેટ, પત્રિકાઓ અને પ્લેકાર્ડ્સનુ વિતરણ ન કરે. લોકસભા સચિવાલય દ્વારા આ સલાહ આપવામાં આવી છે. આ મુજબ લોકસભા અધ્યક્ષની પરવાનગી વિના કોઈપણ સાહિત્ય, પ્રશ્નાવલી, પેમ્ફલેટ, પ્રેસનોટ, પત્રિકા અથવા કોઈપણ પ્રિન્ટેડ સ્લિપનુ ગૃહમાં વિતરણ કરવાનુ નથી. આ ઉપરાંત સંસદ ભવન સંકુલની અંદર પ્લેકાર્ડ લગાવવા પર સખત પ્રતિબંધ છે.
તમને જણાવી દઈએ કે આ એડવાઈઝરી એવા સમયે આવી છે જ્યારે વિપક્ષી પાર્ટીઓએ સંસદ પરિસરની અંદર પ્રદર્શન અને ધરણાની પરવાનગી ન આપવા પર ભારે હોબાળો મચાવ્યો હતો. સાંસદોને આપવામાં આવેલી સલાહમાં કહેવામાં આવ્યુ છે કે માનનીય સભ્યો કોઈપણ પ્રદર્શન, ધરણા, ભૂખ હડતાળ અથવા કોઈપણ ધાર્મિક કાર્યક્રમ માટે ગૃહના પરિસરનો ઉપયોગ કરી શકશે નહિ.
વિપક્ષે કર્યો હોબાળો
આ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં માનનીય સભ્યો સંસદમાં સ્લિપ કે પ્લેકાર્ડ ફાડતા જોવા મળ્યા છે. વિપક્ષી સાંસદો તેમની બેઠક પરથી સ્લિપ ફેંકતા જોવા મળે છે. રાજ્યસભાના કેટલાક સત્રોમાં એવુ જોવામાં આવ્યુ છે કે સંસદના સભ્યો સમગ્ર કાર્યવાહી દરમિયાન પ્લેકાર્ડ પકડી રાખે છે અને કેટલીકવાર પ્લેકાર્ડ અને પેમ્ફલેટ ફાડીને ખુરશી પર ફેંકી દે છે. સંસદમાં કોઈપણ પ્રકારના ધરણાની પરવાનગી નહિ આપવાને લઈને વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે ટ્વીટ કરીને આ એડવાઈઝરીની ટીકા કરી છે.