મોદી મુદ્દે નીતિશના ઘરમાં પણ ભંગાણ
જો કે, આ વખતે જે સમાચાર આવ્યા છે તેનાથી ચોક્કસપણે બિહાર ભાજપ આનંદમાં આવ્યું હશે, કારણ કે જેડીયુમાં બગાવતનુ બ્યુગલ ફૂકાંઇ ગયું છે. અને તેની શરૂઆત જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ ચંદ્રરાજ સિંઘવીએ કરી છે.
બિહારમાં બગાવતનું રાજકારણ ચાલું છે. ભાજપ બાદ હવે જેડીયુમાં વિરોધનો જુવાળ જોવા મળી રહ્યો છે. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ ચંદ્રરાજ સિંઘવીએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. ચંદ્રરાજ સિંઘવીએ પોતાના રાજીનામું પાર્ટીના અધ્યક્ષ શરદ યાદવને મોકલી આપ્યું છે. આ સાથે જ તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરુદ્ધ મોરચો ખોલી નાંખ્યો છે અને આરોપ લગાવ્યો છે કે, નીતિશ સ્વાર્થી છે અને તે સેક્યુલર પણ નથી.
તેમણે કહ્યું કે, નીતિશ કુમાર ધર્મનિર્પેક્ષતાના નામે નાટક કરી રહ્યાં છે. સાચું તો એ છે કે નીતિશ કુમાર પોતાનો વ્યક્તિગત એજેન્ડા પાર્ટી પર થોપી રહ્યાં છે. ચંદ્રરાજ સિંઘવીએ નીતિશ પર એક વર્ષ પહેલા પણ કોંગ્રેસ સાથે સાંઠ-ગાંઠ હોવાનો આરોપ લગાવ્યો છે. સિંઘવીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જેડીયુ નેતા અલી અનવરે કહ્યું કે, પાર્ટીની અંદર બધુ વ્યવસ્થિત છે. તેમણે કહ્યું કે, હું આનેતા અંગે જાણતો પણ નથી.
નોંધનીય છે કે, ગત મહિને નરેન્દ્ર મોદીને લઇને ભાજપ સાથે 13 વર્ષ જૂના સંબંધો તોડ્યા બાદ દેશની મુખ્ય વિપક્ષ પાર્ટીના ધારાસભ્યોને જેડીયુમાં સામેલ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ પહેલીવાર છે કે જેડીયુની અંદર બગાવતની વાત સાંભળવા મળી રહી છે. મંગળવારે બિહારના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ દાવો કર્યો હતો કે ભાજપના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, જે જેડીયુમાં સામેલ થવા માંગે છે.