રેસલરોના વિરોધ પ્રદર્શન બાદ કાર્યવાહી, રેસલિંગ એસોશિએસનના અધિક સચિવને સસ્પેન્ડ કરાયા
સમાચારો અનુસાર, રમત ગમત મંત્રાલયે રેસલિંગ એસોશિએસનના અધિક સચિવ વિનોદ તોમરને સસ્પેન્ડ કર્યા છે. આરોપો અનુસાર ખેલાડીઓએ સૌથી વધુ ફરિયાદો વિનોદ તોમરને કરી હતી.
નવી દિલ્હી : વિનેશ ફોગાટે રેસલિંગ એસોશિએસનના અધ્યક્ષ પર લગાવેલા જાતીય શોષણના આરોપો બાદ સતત વિવાદ ચાલી રહ્યો છે. રેસલરો વિરોધમાં ઉતર્યા બાદ હવે વધુ એક નિર્ણય લેવાયો છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર, રમત ગમત મંત્રાલયે રેસલિંગ એસોશિએસનના અધિક સચિવ વિનોદ તોમરને સસ્પેન્ડ કર્યા છે. આરોપો અનુસાર ખેલાડીઓએ સૌથી વધુ ફરિયાદો વિનોદ તોમરને કરી હતી.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ દિવસ રેસલરોએ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે વાતચીત બાદ ધરણાનો અંત કરવાનો નિર્ણય કર્યો હતો. આ વાતચીત બાદ એક કમિટીની બનવાઈ હતી. આ કમિટી 4 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપશે. બીજી તરફ જ્યાં સુધી તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી કમિટી રેસલિંગ એસોસિએશન પણ સંભાળશે.
વિવાદો વચ્ચે આ મામલે ભારતીય રેસલિંગ એસોશિએસનના એડિશનલ સેક્રેટરી વિનોદ તોમરે બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા રેસલરોએ WFI પ્રમુખ સામે જાતીય સતામણી અને નાણાકીય અયોગ્યતાના આરોપો લગાવ્યા છે પરંતુ તેમના દાવાઓને સમર્થન આપવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
બીજી તરફ ભારતીય રેસલિંગ ફેડરેશને મંગાયેલા જવાબમાં રમત મંત્રાલયને કહ્યું હતું કે, જ્યાં સુધી મોનિટરિંગ કમિટી દ્વારા મામલાની તપાસ ન થાય ત્યાં સુધી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પદની જવાબદારીઓમાંથી હટી જશે. WFI માં અધ્યક્ષ સહિત વ્યક્તિગત રીતે કોઈ પણ વ્યક્તિ દ્વારા મનસ્વીતા અથવા ગેરવહીવટને અવકાશ નથી.