મોતીલાલ વોરાની જગ્યાએ અહેમદ પટેલ હશે કોંગ્રેસના નવા ખજાનચી, આનંદ શર્માને મળી નવી જવાબદારી
પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને મહત્વની જવાબદારી આપતાં પાર્ટીના નવા ખજાનચી બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને મહત્વની જવાબદારી આપતાં પાર્ટીના નવા ખજાનચી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી મોતીલાલ વોરા કોંગ્રેસ પાર્ટીના ખજાનચી હતા. માનવામાં આવી રહ્યું છે કે મોતીલાલ વોરાની વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓ સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો છે. અહેમદ પટેલની સાથે-સાથે પાર્ટીના સાંસદ આનંદ શર્માને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આનંદ શર્માને કોંગ્રેસના ફોરેન સેલના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
2019ની લોકસભા ચૂંટણી અને આ વર્ષના અંતમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પાર્ટી સતત જરૂરી બદલાવો કરી રહી છે. દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટીમાં મોટો ફેરફાર કરતા મોતીલાલ વોરાની જગ્યાએ રાહુલ ગાંધીને પાર્ટીના ટ્રેઝરર એટલે કે ખજાનચી બનાવ્યા છે. અહેમદ પટેલને ગાંધી પરિવારના બહુ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ સોનિયા ગાંધીના રાજનીતિ સચિવ પણ રહી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે જ તેમને પાર્ટીના ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક મોટો નિર્ણય લેતા પાર્ટીના સાંસદ આનંદ શર્માને કોંગ્રેસ ફોરેન સેલના અધ્યક્ષ બનાવ્યા છે. જણાવી દઈએ કે અગાઉ 17 જુલાઈએ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની નવી વર્કિંગ કમિટીમાં 51 સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. એ સમયે પૂર્વ કોંગ્રેસી નેતા જનાર્દન દ્વિવેદીને પાર્ટીની કાર્યકારિણીથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો. એ સમયે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.