અખિલેશઃ ગુજરાતનું સુરત હવે કપડાની સાથે સરકાર પણ બનાવવા લાગ્યુ છે
સોમવારે 4 લોકસભા અને 10 વિધાનસભા સીટો પર થયેલ પેટા ચૂંટણીમાં ઈવીએમમાં ખરાબીની ફરિયાદો પર સપા અધ્યક્ષ અખિલેશ યાદવે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.
સોમવારે 4 લોકસભા અને 10 વિધાનસભા સીટો પર થયેલ પેટા ચૂંટણીમાં ઈવીએમમાં ખરાબીની ફરિયાદો પર સપા અધ્યક્ષ અખિલેશ યાદવે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ ઈવીએમ દ્વારા ચૂંટણી પ્રભાવિત કરવા અને ભાજપને ફાયદો થવાની વાત કહી છે. અખિલેશે ટ્વિટ કરીને કહ્યુ છે, "સાંભળ્યુ છે કે પેટા ચૂંટણીઓમાં ઈવીએમ વિશેષ રૂપે ગુજરાતથી મંગાવવામાં આવ્યા હતા. લાગે છે કે સુરત હવે કપડા બનાવવાનું જ નહિ પરંતુ સરકાર બનાવવાનું પણ કામ કરવા લાગ્યુ છે."
સતત સવાલ ઉઠાવી રહ્યા છે અખિલેશ
અખિલેશ યાદવ સોમવારે સવારે ઈવીએમમાં ફરિયાદ આવ્યા બાદ સતત આ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. અખિલેશે સોમવારે પણ આ અંગે ઘણા ટ્વિટ કર્યા હતા. તેમણે ટ્વિટ કર્યુ, ‘આજે કહેવામાં આવી રહ્યુ છે કે ગરમીને કારણે ઈવીએમ મશીન કામ નથી કરી રહ્યા, કાલે કહેશે વરસાદ અને ઠંડીને કારણે આવુ થઈ રહ્યુ છે. કેટલાક લોકો જનતાને લાઈનમાં ઉભા રાખીને પોતાની સત્તાની ધોંસ બતાવવા માંગે છે. અમે બેલેટ પેપર વોટિંગની માંગ ફરીથી કરીએ છીએ.' બીજા એક ટ્વિટમાં તેમણે કહ્યુ, "હજારો ઈવીએમમાં ખરાબીની ફરિયાદો આવી રહી છે. ખેડૂતો, મજૂર, મહિલાઓ અને નવયુવાનો તડકામાં પોતાના વારા માટે ભૂખ્યા તરસ્યા ઉભા છે. આ ટેકનિકલ ખામી છે કે ચૂંટણી આયોગની અસફળતા કે પછી જનતાને મતાધિકારથી વંચિત કરવાનું ષડયંત્ર, આ રીતે તો લોકતંત્રનો પાયો હલી જશે."
રાલોદ નેતા પણ કરી ચૂક્યા છે ફરિયાદ
સોમવારે થયેલ પેટાચૂંટણીમાં ઈવીએમ મશીનો ખરાબ થવાને કારણે આખો દિવસ ફરિયાદો મળતી રહી. સવારથી જ આના માટે ઘણી જગ્યાએ હોબાળા પણ થયા. રાલોદે આને ચૂંટણી પ્રભાવિત કરવાની કોશિશ કહીને સત્તાધારી ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. લોકદળના મુખીયા અજિત સિંહે આના માટે ચૂંટણી આયોગમાં ફરિયાદ પણ કરી હતી. કૈરાનાથી આરએલડીની ઉમેદવાર તબસ્સુમ હસને પણ ચૂંટણી આયોગને ચિઠ્ઠી લખીને મશીનો સાથે છેડછાડની ફરિયાદ કરી અને મુસ્લિમ-દલિત બાહુલ વિસ્તારોમાં ખરાબ મશીનોને હેક કરવાનો આરોપ લગાવ્યો.
73 બુથો પર ફરીથી મતદાન
સોમવારે કૈરાનામાં થયેલ પેટા ચૂંટણીમાં મોટી સંખ્યામાં ઈવીએમ મશીનોમાં ખરાબીની ફરિયાદો આવી હતી અને આ અંગે ભાજપ અને રાષ્ટ્રીય લોકદળના નેતાઓએ ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ ચૂંટણી આયોગે કૈરાના લોકસભા સીટના 73 બુથો પર 30 મે ના રોજ ફરીથી મતદાનનો આદેશ આપ્યો છે. જે બુથો પર ફરીથી મત અપાશે તેમાંથી સૌથી વધુ ગંગોહ વિધાનસભાના 45 બુથ છે. નકુડના 23 બુથ, શામલીના 4 પોલિંગ બુથ અને થાનાભવનમાં 1 બુથ પર ફરીથી મતદાન થશે.