કોણ હતા કાશ્મીરમાં શાંતિનો સંદેશ ફેલાવનાર, આતંકી ગોળીઓના શિકાર પત્રકાર બુખારી
ગુરુવારે કાશ્મીરમાં એક ચોંકવનારા સમાચાર આવ્યા. અહીંના વર્તમાનપત્ર રાઈઝિંગ કાશ્મીરના એડીટર શુજાત બુખારી પર આતંકીઓએ ધડાધડ ગોળીઓ ચલાવી. થોડી મિનિટો બાદ ફરીથી સમાચાર આવ્યા કે તેમનું મૃત્યુ થઈ ગયુ છે.
ગુરુવારે કાશ્મીરમાં એક ચોંકવનારા સમાચાર આવ્યા. અહીંના વર્તમાનપત્ર રાઈઝિંગ કાશ્મીરના એડીટર શુજાત બુખારી પર આતંકીઓએ ધડાધડ ગોળીઓ ચલાવી. થોડી મિનિટો બાદ ફરીથી સમાચાર આવ્યા કે તેમનું મૃત્યુ થઈ ગયુ છે. શુજાત બુખારીના મૃત્યુના સમાચારે માત્ર કાશ્મીરમાં જ નહિ પરંતુ દેશમાં બાકીના ભાગોમાં વસેલા તમામ જર્નાલિસ્ટ્સ, બ્યુરોક્રેટ્સ, રાજનેતાઓ અને કેટલાક આર્મી ઓફિસર્સને પણ ચોંકાવી દીધા. તેમને ઓળખનારા કહે છે કે તેઓ માત્ર કાશ્મીરનો અવાજ બુલંદ કરનાર જર્નાલિસ્ટ જ નહોતા પરંતુ એક બહાદૂર અને જમીન સાથે જોડાયેલ વ્યક્તિ પણ હતા.
ધ હિંદુથી કરી કારકિર્દીની શરૂઆત અને પછી લાવ્યા રાઈઝિંગ કાશ્મીર
બુખારીએ એતેનિયો દી મનીલા યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમમાં માસ્ટર્સ કર્યુ હતુ. ત્યારબાદ તે એશિયન સેન્ટર ફોર જર્નાલિઝમ સાથે ફેલો તરીકે જોડાયા અને પછી તેમને વર્લ્ડ પ્રેસ ઈન્સ્ટીટ્યુટની ફેલોશીપ મળી. આ બધા ઉપરાંત તે હવાઈ સ્થિત ઈસ્ટ-વેસ્ટ સેન્ટરમાં પણ ફેલો રહી ચૂક્યા હતા. 10 માર્ચ 2008 ના રોજ બુખારીએ રાઈઝિંગ કાશ્મીરની શરૂઆત કરી હતી. જોતજોતામાં ઈંગ્લિશનું આ ન્યૂઝ પેપર કાશ્મીરનું બીજા નંબરનું સૌથી વધુ વંચાતુ ન્યૂઝ પેપર બની ગયુ હતુ. તેમણે જર્નાલિસ્ટ તરીકે પોતાની કારકિર્દી ધ હિંદુથી શરૂ કરી હતી. તે ધ હિંદુ માટે જમ્મુ કાશ્મીરથી રિપોર્ટીંગ કરતા હતા.
18 વર્ષ પહેલા પણ થયો હતો હુમલો
બુખારી પર 18 વર્ષ પહેલા પહેલી વાર આતંકી હુમલો થયો હતો ત્યારબાદ તેમને સુરક્ષા આપવામાં આવી હતી. તેમના સાથી, રાજનેતા અને તેમના નજીકના દોસ્તો તેમને કાશ્મીરમાં શાંતિનો સંદેશ ફેલાવનાર એક મજબૂત વ્યક્તિ માનતા હતા. કાશ્મીર પર પાકિસ્તાન સાથે ભારત તરફથી અનૌપચારિક વાર્તા માટે પ્રતિનિધિમંડળ ગયા વર્ષે દુબઈમાં ગયુ હતુ જેનો શુજાત બુખારી હિસ્સો હતા. આ ઉપરાંત તેમણે કાશ્મીરમાં શાંતિ માટે વિવિધ પ્રકારની કોન્ફરન્સનું પણ આયોજન કર્યુ હતુ. બુખારી પાકિસ્તાન સાથે થનારી ટ્રેક ટુ ડિપ્લોમસીનો પણ હિસ્સો હતા. બુખારી, જમ્મુ કાશ્મીર સરકારમાં મંત્રી બશારત બુખારીના ભાઈ પણ છે. આઠ જુલાઈ, 1996 ના રોજ આતંકી સંગઠન ઈખ્વાને ઘાટીમાંથી 9 જર્નાલિસ્ટનું અપહરણ કરી લીધુ હતુ. બુખારી તેમાંના એક હતા.
બુખારીએ સૌથી ખતરનાક સમયમાં કર્યુ રિપોર્ટીંગ
લાલ ચોક પાસે પ્રેસ એવન્યુમાં પોતાની ઓફિસમાંથી નીકળીને એક ઈફ્તાર પાર્ટીમાં જોડાવા જઈ રહેલા બુખારી પર આતંકીઓએ ગોળીઓ ચલાવી. ગોળીઓ તેમના બે બોડીગાર્ડ્સને પણ લાગી. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ 50 વર્ષના થયેલા શુજાત બુખારી બે પુત્રોના પિતા હતા. હત્યાની પહેલા બુખારીએ એક ટ્વિટ કર્યુ હતુ. આ ટ્વિટમાં તેમણે યુએનના એ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ભારત અને પાકિસ્તાન બંને પર જ જમ્મુ કાશ્મીર અને પીઓકેમાં માનવાધિકાર હનનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બુખારી જમ્મુ કાશ્મીરના દરેક હિસ્સાથી વાકેફ હતા અને સમગ્ર રાજ્યમાં ફરી ચૂક્યા હતા. જ્યારે કાશ્મીરમાં લોકો આતંકવાદના કારણે ઘરોમાં ભરાઈ જતા હતા ત્યારે બુખારી એ સમયે સૂરજ આથમતા નીકળતા હતા.