કર્ણાટકમાં ભાજપને સરકાર નહી બનાવવા દઈએઃ દેવગૌડા
એચડી દેવગૌડાએ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બધુ ઠીક છે અને તેઓ ભાજપને કર્ણાટકની સત્તા હાંસલ નહીં કરવા દે.
કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે અણબનના સમાચાર મળી રહ્યા હતા. પૂર્વ સીએમ સિદ્ધરમૈયાએ પણ આ વિવાદને વધારતા કહ્યું હતું કે તેઓ જનતાના આશિર્વાદથી વધુ એક વખત કર્ણાટકના મુખ્યમંત્રી બનશે. જ્યારે સીએમ કુમારસ્વામી પહેલેથી જ ગઠબંધનની સરકાર ચલાવવામાં પડી રહેલ મુશ્કેલીઓની વાત સ્વીકારી ચૂક્યા છે. બીજી બાજુ જેડીએસ પ્રમુખ દેવગૌડએ પણ આ વિવાદ મામલે પોતાનું નિવેદન આપ્યું છે.
એચડી દેવગૌડાએ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બધુ ઠીક છે અને તેઓ ભાજપને કર્ણાટકની સત્તા હાંસલ નહીં કરવા દે. એચડી દેવગૌડાએ કહ્યું કે લોકસભા ચૂંટણી સહિત કોઈ સ્થિતિમાંથી નીકળવા માટે બંને સાથે મળીને લડશે. હાલના દિવસોમાં જે રીતે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મતભેદો સામે આવ્યા હતા, એવા સમયે દેવગૌડનું આ નિવેદન બંને વચ્ચેની મુશ્કેલીઓ અને વિવાદને ઓછો કરી શકે છે.
અગાઉ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ પણ કહ્યું હતું કે આગામી 15 દિવસમાં કર્ણાટકની સરકાર પડી ભાંગશે. ગૌડાએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ નિર્ણય કરી લીધો છે કે તેઓ સરકારમાંથી પોતાનો ટેકો પરત ખેંચી લેશે, એવામાં હવે માત્ર ઔપચારિકતા બચી છે કે ક્યારે આ સરકાર પડી ભાંગે. એટલું જ નહીં, એમણે કહ્યું હતું કે જો સિદ્ધરમૈયા સમર્થન પાછું ખેંચી લે તો તેઓ ક્યારેય મુખ્યમંત્રી નહીં બની શકે, કેમ કે ભાજપ એમને ક્યારેય સમર્થન નહીં આપે.