જે ગુજરાતી બસ પર આંતકી હુમલો થયો તેના યાત્રીઓનું લિસ્ટ
અમરનાથ યાત્રામાં જે ગુજરાતી બસ પર આતંકી હુમલો થયો તેના પેસેન્જરનું લિસ્ટ. આ બસ પણ સાબરકાંઠાની નંબર પ્લેટ વાળી છે. હુમલા પછી કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા થઇ ઠપ્પ.
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રા પર જઇ રહેલા યાત્રીઓ પર સોમવાર રાતે 8 વાગ્યાની આસપાસ આંતકી હુમલો કરવામાં આવ્યો હતો. આમાં 7 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આ બસ ગુજરાતની રજિસ્ટ્રર્ડ છે અને તેની નંબર પ્લેટ પણ ગુજરાતની જ સાબરકાંઠા વિસ્તારની છે. વધુમાં આ બસમાં જે યાત્રીઓ બેઠા હતા તે મોટે ભાગે દક્ષિણ ગુજરાતના હતા. ત્યારે આ બસમાં બેઠેલા યાત્રીઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાંથી 7 યાત્રીઓના મોત થયા છે અને 14 ઇજાગ્રસ્ત થયા છે. જો કે મૃત્યુ પામેલા યાત્રીઓનું ઓળખ વિધિ આ લેખ લખાઇ રહ્યો છે ત્યારે હજી કરવામાં આવી રહી છે માટે તે અંગે સ્પષ્ટતા નથી થઇ.
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ આ બસને અમરનાથ યાત્રા માટે સ્પેશ્યલ પરવાનગી આપવામાં આવી હતી. પણ અમરનાથ યાત્રાની તમામ બસોને ખાસ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ત્યારે આ બસ તે સુરક્ષા છોડી અહીં કેવી રીતે આવી ગઇ તે અંગે હાલ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. વધુમાં આ બસમાં બેઠેલા યાત્રીઓ જે તેમની આપવીતી જણાવી છે તે મુજબ તે જ્યારે બસમાં સુઇ રહ્યા હતા ત્યારે અચાનક જ ગોળીઓના અવાજ સંભળાયા અને તે કંઇ સમજે તે પહેલા જ તેમની આજુ બાજુ ચારે બાજુ લોહીની નદીઓ વહી ચૂકી હતી. ઉલ્લેખનીય છે કે આ હુમલા પછી કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. માટે ગુજરાતમાં બેઠેલા આ યાત્રીઓના પરિવારજનોની ચિંતા વધી ગઇ છે કારણ કે તે ફોન કે અન્ય રીતે તેમના સંપર્ક કરી શકવામાં હાલની પરિસ્થિતિમાં અક્ષમ છે.