ભાજપ આગેવાનોને દિલ્હીનું તેડુંઃ લોકસભા ચૂંટણી માટે અમિત શાહે લીધા ક્લાસ
ભાજપ આગેવાનોને દિલ્હીનું તેડુંઃ લોકસભા ચૂંટણી માટે અમિત શાહે લીધા ક્લાસ
દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે ,ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવા અને કૉંગ્રેસ સત્તા મેળવવા મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતની જો વાત કરીએ તો, 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામે ભાજપની ઉંઘ હરામ કરી નાખી છે. 150 કરતાં વધુ બેઠકોના ટાર્ગેટ સાથે નિકળેલી ભાજપ બે ડિઝિટમાં સમેટાઇ જવું પડ્યું છે. ત્યારે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો સહન કરવાની નોંબત પણ આવી શકે છે.
ભાજપ આગેવાનોને દિલ્હીનું તેડું
ગુજરાતમાં ભાજપનો કિલ્લો જળવાઇ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ માત્ર એક જ દિવસમાં ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનોને દિલ્હીનું તેડું આવ્યું છે. દિલ્હી ખાતે ગતરોજ મોડી સાંજે મળનારી ભાજપની ખાસ બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમોમાં રહેલી પાંખી હાજરી સહીત સંગઠન અને રાજ્ય સરકારની કામગીરીમાં ઝડપ લાવવા સાથે કાર્યકરોનો ઉત્સાહ વધારવા સૂચનાઓ આપવામાં આવે તેવી સંભાવનાઓ છે. દિલ્હી ખાતે ભાજપની રાષ્ટ્રીય બેઠકમાં ગુજરાતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ચૂંટણીલક્ષી રણનીતિ પર ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લોકસભા ૨૦૧૯નો ચૂંટણી જંગ હવે ખુબ જ પ્રતિષ્ઠાભર્યો બનતો જઈ રહ્યો છે. જે રીતે 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન ગુજરાત રાજ્યમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો ફરી જીતવી મહત્વપૂર્ણ છે. જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વધી રહેલી ગુજરાત મુલાકાતો સાથે ભાજપના સંગઠન અને રાજ્ય સરકારની કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ધ્વારા ગઇકાલે સાંજે ગુજરાતની ખાસ બેઠક તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી. જે બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત કેન્દ્રીય મંત્રીઓ અને અમિત શાહ પણ હાજર રહ્યા અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
પ્રદેશ ભાજપના નેતાઓ દિલ્હી દરબારમાં પહોચ્યા
દિલ્હીમાં અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાનારી આ બેઠક માટે તેડું આવતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડનગરમાં પ્રદેશ કારોબારી છોડીને દિલ્હી જવા રવાના થઈ ગયા છે. જયારે આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભીખુભાઈ દલસાણીયા, મનસુખ માંડવીયા, આઈ. કે. જાડેજા, ગણપત વસાવા, ભરતસિંહ પરમાર સહિત કમિટીના સદસ્યો બેઠકમાં હાજર રહેવા માટે દિલ્હી પહોચ્યા છે. આ બેઠકમાં ગુજરાત માટે ખાસ કોઈ યોજનાઓ જાહેર કરવાના અનુમાન સાથે કેન્દ્ર સરકાર ધ્વારા જાહેર કરાયેલી વિવિધ યોજનાઓના સુદ્રઢ અમલીકરણ અંગે પણ સૂચનાઓ આપવામાં આવે તેવી શક્યતા છે.
ભાજપના કાર્યક્રમોમાં લોકોની પાંખી હાજરી
ભાજપને છેલ્લા કેટલાક સમયથી લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ પાતળી બહુમતિ સાથે વિધાનસભાની ચૂંટણી તો જિતી શક્યું છે. પરંતું, લોકોનો રોષ શમ્યો નથી. મોંઘવારી અને પેટ્રોલ, ડિઝલ તેમજ ગેસના ભાવ વધારાના કારણે સામાન્ય લોકો સરકારથી નારાજ છે. ત્યારે, આ નારાજગી ખાસ કરીને જાહેરસભાઓમાં બહાર તરી આવે છે. એટલે કે, નરેન્દ્ર મોદીની સભામાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળે છે. રાજકોટ અને કચ્છમાં નરેન્દ્ર મોદીની સભામાં લોકોની પાંખી હાજરીથી ભાજપ હાઇકમાન્ડ દોડતું થઇ ગયું છે. ત્યારે, હવે કોઇ નવી રણનીતિ અખત્યાર કરવામાં આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો-Pics: રાજઘાટ પહોંચી પીએમ મોદી-રાહુલ ગાંધીએ બાપુને આપી શ્રદ્ધાંજલિ