અમિત શાહે જણાવ્યુ કોંગ્રેસ મુક્ત નારાનું સત્ય અને રાહુલ પરના હુમલાનું કારણ
અમિત શાહે રાહુલ ગાંધી પર પોતાના નિવેદનો વિશે સ્પષ્ટતા કરતા કહ્યુ કે રાહુલ ગાંધી સામે મારે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી.
ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંઘી વચ્ચે હંમેશા એકબીજાની વિરુદ્ધમાં નિવેદનબાજી સામે આવે છે. પરંતુ અમિત શાહે રાહુલ ગાંધી પર પોતાના નિવેદનો વિશે સ્પષ્ટતા કરતા કહ્યુ કે રાહુલ ગાંધી સામે મારે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. તેમણે કોંગ્રેસ મુક્ત ભારતના પોતાના નારા પર કહ્યુ કે જ્યારે હું કહુ કે કોંગ્રેસ મુક્ત ભારત હોવુ જોઈએ એનો અર્થ એ નથી થતો કે અમને કોંગ્રેસથી આઝાદી જોઈએ પરંતુ કોંગ્રેસ પક્ષની જે સંસ્કૃતિ છે તેનાથી આઝાદી જોઈએ.
વ્યક્તિગત દુશ્મની નહિ
અમિત શાહે કહ્યુ કે રાહુલ ગાંધી સામેના મારા નિવેદનોને વ્યક્તિગત રીતે ન જોવા જોઈએ. રાહુલ ગાંધીએ લોકો સામે અમુક મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને મે તેના જવાબ આપવાની કોશિશ કરી છે. લોકતંત્રમાં કોઈ પણ ખતરામાં નથી. અમારા પક્ષે ઘણા સારા કામો કર્યા છે અને જ્યાં સુધી અમે સારા કામો કરતા રહીશુ ત્યાં સુધી લોકો અમારુ સમર્થન કરતા રહેશે. અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તે રાહુલ ગાંધીને પડકાર માને છે.
હું રાહુલ પાસેથી કોંગ્રેસનો હિસાબ માંગુ છુ
રાહુલ ગાંધી પર હુમલો કરતા અમિત શાહે કહ્યુ કે રાહુલ ગાંધી પાસેથી ગાંધી પરિવારની ચાર પેઢીઓનો હિસાબ માંગુ છુ કારણકે તે પક્ષના અધ્યક્ષ છે અને તેમના પક્ષે દેશ પર 55 વર્ષ સુધી શાસન કર્યુ છે. જ્યારે તમે પક્ષના અધ્યક્ષ બનો છો તો તમારા પર પક્ષની વિરાસતની જવાબદેહી બને છે. જે રીતે હું ભાજપનો અધ્યક્ષ હોવાના નાતે જવાબ આપી રહ્યો છુ તે રીતે રાહુલ ગાંધીને પણ જવાબ આપવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ.
55 વર્ષ સુધી જૂઠ ફેલાવ્યુ
તમને જણાવી દઈએ કે અમિત શાહ બે દિવસના છત્તીસગઢ પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે કે પક્ષે 55 વર્ષ સુધી લોકો સામે જૂઠ બોલ્યુ છે. જ્યારે શાહને પૂછવામાં આવ્યુ કે શું તેમનો પક્ષ એવુ નથી ઈચ્છતો કે દેશમાં બીજો કોઈ પક્ષ વિપક્ષમાં બચે તો તેમણે કહ્યુ કે અમે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરીએ તો અમે કોંગ્રેસની સંસ્કૃતિને ખતમ કરવાની વાત કરીએ છીએ. પક્ષને ખતમ કરવાની વાત નથી કરતા. લોકતંત્રની કલ્પના વિપક્ષ વિના ન થઈ શકે પરંતુ કોંગ્રેસને જીવતા રાખવાની જવાબદારી મારી નથી એ રાહુલની જવાબદારી છે.
લોકો અમારી સાથે છે
શાહે મિડલ ક્લાસના ભાજપથી દૂર થવાના સવાલ પર કહ્યુ કે જો મધ્યમ વર્ગ અમારાથી દૂર હોત તો અમે આટલા મોટા સ્તર પર ચૂંટણી ન જીતી રહ્યા હોત. લોકોમાં આ અફવા ફેલાવવામાં આવી રહી છે. અમે મધ્યમ પરિવારો માટે ઘણુ બધુ કર્યુ છે. તેમના માટે ઘણી બધી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. આ જ કારણ છે કે ભાજપની 14 રાજ્યોમાં પોતાના દમ પર સરકાર છે. સરકાર સતત છેલ્લા 12 દિવસોથી પેટ્રોલના ભાવ વિશે વિચારી રહી છે. પેટ્રોલના ભાવ ઘટ્યા છે. સરકાર લોકોની ચિંતાઓ પર સતત નજર રાખી રહી છે.