ઇશરત એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને મળી શકે છે મોટી રાહત!
નવી દિલ્હી, 15 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસ અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં મોટી રાહત મળવાની સંભાવના છે.
વિશ્વસીનય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇશરત જહાં કેસમાં સીબીઆઇ ટૂંક સમયમાં પૂરક આરોપપત્ર દાખલ કરી શકે છે, જેમાં ગુજરાતના પૂર્વ મંત્રી અમિત શાહનું નામ આરોપી તરીકે નહીં આવે તેવી સંભાવના છે.
સૂત્રો અનુસાર પૂરક આરોપપત્રમાં ગુપ્તચર બ્યૂરોના અધિકારીઓનું નિવેદન હોઇ શકે છે જે કથિત નકલી એન્કાઉન્ટરના કાવતરાનો ભાગ હતા. અથડામણમાં 19 વર્ષની ઇશરત જહાં અને ત્રણ અન્ય લોકોને અમદાવાદના કોતરપુર વિસ્તારમાં ઠાર મારવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ હાલમાં ભાજપા મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પાર્ટી પ્રભારી અમિત શાહની ઇશરત જહાં અથડામણ કેસમાં પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વણઝારાના રાજીનામામાં લગાવવામાં આવેલા આરોપોના સંબંધમાં સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.