અમિત શાહે જણાવ્યું, ગુજરાતમાં BJP તરફથી CM ઉમેદવાર કોણ?
આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ગુજરાત માટે વિજય રૂપાણી અને કર્ણાટક માટે યેદુરપ્પા ભાજપ તરફથી મુખ્યમંત્રીના ઉમેદવાર હશેઃ અમિત શાહ
ગુજરાત અને કર્ણાટક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ગુજરાતમાં ભાજપ તરફથી મુખ્યમંત્રીના ઉમેદવાર કોણ હશે એ અંગે અત્યાર સુધી ચુપ્પી સાધ્યા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ અંગે નામનો ખુલાસો કર્યો છે. ગુજરાતમાં આ વર્ષે તથા કર્ણાટકમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને બંન્ને રાજ્યો માટે ભાજપના ઉમેદવારના નામનો ખુલાસો કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ અંગે વાત કરતાં કહ્યું કે, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પા જ રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રીના ઉમેદવાર હશે અને ગુજરાતમાં વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપના ઉમેદવાર રહેશે. ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાશે. અમિત શાહે દાવો કર્યો હતો કે, ચૂંટણીમાં 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 150થી વધુ બેઠકો મળશે.
હિમાચલ પ્રદેશ અંગે જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, હિમાચલમાં ભાજપ તરફથી મુખ્યમંત્રીના ઉમેદવાર કોણ હશે એ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સાથે જ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.
કર્ણાટકમાં હાલ ભાજપ પક્ષમાં વિવાદની ખબરો આવી હતી, પૂર્વ ઉપમુખ્યમંત્રી કે.એસ.ઇશ્વરપ્પાના જૂથે બીએસ યેદુરપ્પાના નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું. આ અંગે અમિત શાહે કહ્યું કે, તેઓ જલ્દી જ હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. હાલના દિવસોમાં પક્ષે પાર્ટી વિરોધી કાર્યો માટે કેટલાક નેતાઓ પર કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, બીએસ યેદુરપ્પા પ્રભાવશાળી નેતા છે, તેમના નેતૃત્વમાં ભાજપ વર્ષ 2008માં પહેલીવાર કર્ણાટકમાં સત્તામાં આવ્યું હતું, જો કે પછીથી ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમણે રાજીનામું આપવાની ફરજ પડી હતી.