આનંદીબેને મધ્યપ્રદેશના ગવર્નર તરીકે લીધા શપથ
આનંદીબેન પટેલે મંગળવારે મધ્યપ્રદેશના ગવર્નર તરીકે શપથ ગ્રહણ કર્યા. ત્યારે જાણો આ સમાચાર અંગે વિગતવાર અહીં
ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી તેવા આનંદીબેન પટેલ હવે મધ્યપ્રદેશના નવા ગર્વનર બની ચૂક્યા છે. મંગળવારે, આનંદીબેન પટેલે, મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ગર્વનર તરીકે શપથ વિધિ ગ્રહણ કરી હતી. અને હવે તે અધિકૃત રીતે મધ્ય પ્રદેશના ગવર્નર બની ચૂક્યા છે. નોંધનીય છે કે આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પુષ્પગુચ્છ અર્પી તેમનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉંમરના કારણે સ્વૈચ્છિક રાજીનામું આપ્યા પછી ભાજપે તેના વરિષ્ઠ નેતા તેવા આનંદીબેનને મધ્યપ્રદેશના ગવર્નરની નવી જવાબદારી સોંપી છે. આમ વજુભાઇ વાળા કર્ણાટકના અને આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના તેમ ગુજરાતના પડોશી રાજ્યોમાં પોતાની જવાબદારી સંભાળશે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પદ છોડ્યા પછી પણ ગુજરાત રાજકારણમાં આનંદીબેન પટેલનો દબદબો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળ્યો હતો. અને તે ચૂંટણી વખતે પણ એક્ટીલી પ્રચારમાં જોડાયા હતા. ત્યારે ગુજરાતમાં પટેલ સમેત બેનના ચહીતા મંત્રીઓ અને કાર્યકર્તાઓને ખુશ કરવા માટે ખાસ બેનને આ સન્માન આપવામાં આવ્યું છે તેવી પણ ચર્ચાઓ થઇ રહી છે. વળી તેમ પણ જાણવા મળ્યું છે કે ગુજરાતમાં ભાજપની અંદર શાહ અને બેનના કાર્યકર્તાઓ વચ્ચેની જંગને શાંત પાડવા માટે પણ આનંદીબેનને આ પદ આપવામાં આવ્યું છે. જો કે કારણ જે પણ હોય અગાઉ પણ ગવર્નર જેવા કોઇ પણ પદ પર કામ ના કરવાની વાત કહેનાર આનંદીબેન પટેલ હાલ તો મધ્ય પ્રદેશના ગવર્નર બની ચૂક્યા છે. અને આજથી તે હવે આ કાર્યભાર સંભાળશે.