અણ્ણા હઝારેએ લખ્યો PMને પત્ર,ફરી લોકપાલ માટે આંદોલન!
સમાજસેવક અણ્ણા હઝારેએ મોદી સરકારને પત્ર લખ્યો, માંગ પુરી નહી થાય તો ફરી કરશે આંદોલન. લોકપાલ માટે કરેલા આંદોલનને છ વર્ષ જેટલો સમયગાળો થઈ જવા છતા પણ તેમની માંગણીઓ હજુ પુરી થઈ નથી. આ અંગે વધુ વાંચો અહીં
સમાજસેવક અણ્ણા હઝારેએ લોકપાલ બિલને લઈ ફરી આંદોલન કરવાના મુડમાં આવી ગયા છે. અણ્ણા હઝારેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે વડાપ્રધાનને જણાવ્યું છે કે, તેમની સરકાર આવ્યાને ત્રણ વર્ષ જેટલો લાંબો સમયગાળો પસાર થઈ ગયો છે, પરંતુ લોકપાલ બિલ હજુ સુધી તેઓ લાવી શક્યા નથી. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, મોદી સરકાર આ બિલ નહી લાવે તો તેમની વિરુદ્ધ ફરી આંદોલન કરવામાં આવશે.
અણ્ણા હઝારેએ મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તમારી સરકાર પાસેથી હું ત્રણ વર્ષથી લોકપાલ બિલ અને ખેડૂતોના વિકાસ માટે લોકાયુક્તની જલ્દીથી જલ્દી નિમણૂક થાય તેવી માંગ કરું છું. ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે જે આંદોલન મેં કર્યું હતું, તેને છ વર્ષ થઈ જવા આવ્યા તેમ છતાં તેના પર કોઈ કામ કરવામાં નથી આવ્યું. જો તમે પણ મારા પત્રનો જવાબ નહીં આપો તો આવનારા સમયમાં ફરી હું રામલીલા મેદાન પર અનશન પર બેસીશ. અત્રે નોંધનીય છે કે, 2011માં અણ્ણા હઝારે એ 'ભ્રષ્ટાચાર મુક્ત ભારત'નું આંદોલન કર્યુ હતું. જે બાદ 27 ઓગસ્ટ, 2011ના દિવસે સંસદમાં ''Sense oF the House'' માં તેને પસાર કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર દ્વારા લોકપાલ, દરેક રાજ્યમાં લોકાયુક્ત જેવા મહત્વના મુદ્દાઓને જલ્દી જ કાયદો બનાવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આંદોલનના છ વર્ષ પછી પણ તેમના કોઈ ઠોસ પરિણામ આવ્યું નથી, ત્યારે તેમણે નરેન્દ્ર મોદીને પત્ર લખી આંદોલનની ચીમકી આપી છે.