બોમ્બની ધમકી બાદ જમ્મુ દિલ્હી રાજધાનીમાં આર્મી પોલીસની તપાસ
ચંદીગઢ, 8 ડિસેમ્બર : પંજાબમાં પઠાણકોટ ખાતે જમ્મુથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ગઈ કાલે રાત્રે બોમ્બ મૂકાયાની ધમકી મળ્યા બાદ લશ્કર અને પોલીસે ટ્રેનને અટકાવી હતી અને તેની પૂરી ચકાસણી કરી હતી. ટ્રેનમાં બોમ્બ મૂકાયાની ધમકી જમ્મુ-કશ્મીર પોલીસને મળી હતી. ધમકી મળતા તરત જ પંજાબ પોલીસને તે મોકલી હતી.
પંજાબના સિનીયર પોલીસ અધિકારીઓ, ગવર્મેન્ટ રેલવે પોલીસકર્મીઓ સહિત લગભગ 150 જેટલા સુરક્ષા જવાનોએ પઠાણકોટ છાવણી સ્ટેશન ખાતે રાતે લગભગ સાડા નવ વાગ્યે ટ્રેનને અટકાવીને તેમાં ચકાસણી કરી હતી. બાદમાં, લશ્કરની પણ મદદ માગવામાં આવી હતી અને તેના જવાનો પણ ટ્રેનમાં ક્યાંય સ્ફોટક પદાર્થ મૂકાયો છે કે નહીં તેની ચકાસણીમાં જોડાયા હતા. લશ્કરના જવાનોની ચકાસણી મધરાત સુધી ચાલી હતી.
નોંધનીય છે કે જમ્મુના શ્રીનગરમાં આવેલા આર્મી કેમ્પમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં 21 લોકોના મોત થયા બાદ સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન બનાવવામાં આવી હતી. પંજાબમાં આવેલા પઠાનકોટની સરહદ જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલી હોવાથી પોલીસ અને લશ્કરે ગંભીરતાથી ઘટનાને ધ્યાનમાં લીધી હતી.