450 આતંકીઓ અમરનાથ યાત્રીઓ પર હુમલાની ફિરાકમાં- રિપોર્ટ
ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીઓની માનીએ તો સીમા પારથી લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના લગભગ 450 નવા આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં છે.
જ્યાં એક તરફ ગૃહમંત્રી રાજનાશ સિંહે ગુરુવારે જમ્મુ કાશ્મીર પહોંચીને એ સંકેત આપ્યા કે કેન્દ્ર ઘાટીમાં શાંતિ સ્થાપવા માટે અલગાવવાદીઓ સાથે વાત કરવા માટે તૈયાર છે તો બીજી તરફ ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીઓની માનીએ તો સીમા પારથી લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના લગભગ 450 નવા આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં છે. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી) અને આઈએસઆઈ એ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવા માટે આ આતંકીઓને વિશેષ ટ્રેનિંગ આપી છે.
સીમા પાર તૈયાર થયા 450 આતંકી
ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સી મુજબ આ 450 આતંકીઓમાંથી મોટાભાગે જૈશના આતંકી છે જેમને પાકિસ્તાન આર્મીના નિયાલી પ્રાંતમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જમ્મુ કાશ્મીરમાં એટેક કરવા માટે આઈએસઆઈ એ મોટાભાગે જૈશના આતંકીઓનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનના જૂરામાં એસએસજી એ 61 લશ્કર ના આતંકીઓને ટ્રેનિંગ આપી છે. વળી, બોઈ, મદરપુર, ફાગોશ અને દેવલિયાન પ્રાંતમાં ફિદાયીન હુમલા માટે લશ્કરના આતંકીઓને તૈયાર કર્યા છે.
ઘાટીમાં ઘણા આતંકી પહેલેથી હાજર
આ રિપોર્ટની માનીએ તો ઘાટીમાં એટેક કરવા માટે હાલમાં 127 આતંકી ભીમબેર ગલી સામે, નૌશેરા અને પૂંછમાં 30-30, કૃષ્ણા ઘાટીમાં 35, તંગધારમાં 61, કેરાનમાં 50, માછિલમાં 42, ગુરેજમાં 16, ઉરીમાં 47 અને નૌગાંવ તેમજ રામપુરમાં 7-7 આતંકીઓ હાજર છે.
ઘાટીમાં સીઝફાયર બન્યુ મજાક
જમ્મુ કાશ્મીરમાં રમજાન માસની પવિત્રતાને જોતા કેન્દ્ર સરકારે સીઝફાયરના નિર્દેશ આપ્યા છે તેમછતાં પણ સેના અને સ્થાનિક લોકો વચ્ચે હિંસાની ઘટનાઓ જોવા મળી છે. રમજાન દરમિયાન સેનાના ઘણા કેમ્પો પર આતંકીઓએ ગ્રેનેડ એટેક પણ કર્યા છે. ઘાટીમાં વધતા તણાવ વચ્ચે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સીઝફાયર ચાલુ રાખવા માટે કેન્દ્રને અપીલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાન તરફથી 1000 થી વધુ વાર સીઝફાયરનું ઉલ્લંઘન થયુ છે.