ચીનની ધમકી પર બોલ્યા અરુણ જેટલી: આ 1962નું ભારત નથી
ચીનની ધમકી પર રક્ષા મંત્રી અરુણ જેટલીએ કહ્યું, આ વર્ષ 1962નું ભારત નથી, એ સમયની પરિસ્થિતિ અલગ હતી.
ચીને આપેલ ચેતવણીને બાજુએ મુકતાં દેશના રક્ષા મંત્રી અરુણ જેટલીએ કડક જવાબ આપ્યો છે. ભૂટાન બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે વધી રહેલ તાણની પરિસ્થિતિ અંગે અરુણ જેટલીએ કહ્યું હતું કે, આજનું ભારત વર્ષ 1962ના ભારત કરતાં ખાસું અલગ છે. નોંધનીય છે કે, ચીને ભૂટાન બોર્ડર પર તણાવ અંગે ભારતને ચેતવણી આપી હતી. ચીને ભારતને પોતાની સેના પાછી બોલાવી લેવા જણાવ્યું હતું અને સાથે ધમકી પણ આપી હતી કે, ભારતે વર્ષ 1962નું યુદ્ધ યાદ રાખવું જોઇએ. સાથે જ ચીને કહ્યું હતું કે, એ યુદ્ધને યાદ કરી ભારત કંઇક શીખ લે.
1962ની પરિસ્થિતિ અલગ હતી
ચીનની આ ધમકી પર રક્ષા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, 2017નું ભારત વર્ષ 1962ના ભારત કરતાં ખાસું અલગ છે. એ સમયે પરિસ્થિતિ અલગ હતી. ચીન વિદેશ મંત્રાલય તરફથી ભારતને ધમકીભર્યા શબ્દોમાં વર્ષ 1962નું યુદ્ધ યાદ કરી લેવાની જે વાત કહેવામાં આવી છે, એ અંગે અરુણ જેટલીએ કહ્યું કે, ચીન હવે ભૂટાનની જમીન કબજે કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જે ભારતીની જમીનની એકદમ નજીક છે. ભૂટાન તરફથી આપવામાં આવેલું નિવેદન આ વાતની સાબિતી આપી છે. ભારત અને ચીન વચ્ચેના કરાર અનુસાર બંન્ને સીમા ક્ષેત્રોમાં એકબીજાને સુરક્ષા પ્રદાન કરશે. અરુણ જેટલીએ આગળ કહ્યું કે, ચીન પોતાની જમીનનો વિસ્તાર વધારવાના પ્રયત્નમાં લાગેલું છે, ભારત ચીન જેવું કામ નથી કરી રહ્યું.
ભૂટાન પણ ચીનના વિરોધમાં
ચીનના આર્મી કેમ્પ દ્વારા દોકલામના ઝોમપિલ્રી વિસ્તારમાં રોડ નિર્માણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુરૂવારે ભૂટાને ચીનને આ નિર્માણ કાર્ય તુરંત બંધ કરાવવાનું કહ્યું હતું. ભૂટાને આ અંગે કાર્યવાહી હાથ ધરી ત્યારે સિક્કિમ સેક્ટરમાં ભારત અને ચીનની સેનાઓ સામ-સામે હતી. દોકલામ એક વિવાદિત ક્ષેત્ર છે અને ભૂટાન સાથે આ અંગે લેખિત કરાર કરવામાં આવ્યો છે, જે હેઠળ અહીંની સીમાના મુદ્દે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની છે. ચીને ભારત પર આરોપ મુક્યો છે કે, તે એક એજન્ડાને આગળ વધારી રહ્યું છે. વિદેશ મંત્રાલય તરફથી પણ આ સમગ્ર મુદ્દે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીનના વિદેશ મંત્રાલયે 26 જૂનના રોજ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, ભારતીય સેનાએ સિક્કિમમાં ભારત-ચીનની સીમા પાર કરી ચીનમાં પ્રવેશ કર્યો છે. વિદેશ મંત્રાલય આ સીમા વિવાદના ઉકેલ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.