ત્રણ મહિના બાદ અરુણ જેટલી ફરી સંભાળશે નાણા મંત્રાલય
ઓપરેશન બાદ હવે અરુણ જેટલી ફરી નાણા મંત્રાલયની જવાબદારી સંભાળવા તૈયાર.
નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલી ત્રણ મહિનાના આરામ બાદ ફરી એક વાર નાણા મંત્રાલયની જવાબદારીઓ સંભાળશે. જણાવી દઈએ કે અરુણ જેટલીનું ઓપરેશન થયું હતું જેને કારણે તેઓ ત્રણ મહિના સુધી આરામ પર હતા, જે બાદ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું કે અરુણ જેટલીને ફરી એકવાર નાણા મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ સોંપી દેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે અરુણ જેટલીની રેનલ ટ્રાન્સપ્લાન્ટ કરવાનુ હોવાથી તેઓ એપ્રિલ મહિનાથી ઑફિસ નહોતા જઈ રહ્યા, 14મેના રોજ એમનું ઓપરેશન થયું હતું. અરુણ જેટલીની ગેરહાજરીમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલ એમના વિભાગની જવાબદારીઓ સંભાળી રહ્યા હતા. જો કે અરુણ જેટલીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેટલીક મીટિંગ લીધી હતી અને અધિકારીઓને સંબોધિત કર્યા હતા, જે બાદ વિપક્ષે એ સવાલ ઉભો કર્યો હતો કે આખરે નાણા મંત્રી કોણ છે?
ઓગસ્ટમાં રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી દરમિયાન થયેલા મતદાનમાં અરુણ જેટલીએ ભાગ લીધો હતો. અગાઉ 2014માં ભાજપ સરકાર બન્યા બાદ પણ અરુણ જેટલીનું ઓપરેશન થયું હતું. જેટલીને ડાયાબિટીસની તકલીફ છે, જેના કારણે તેમણે ઓપરેશન કરાવવું પડ્યું હતું. જો કે આ દરમિયાન અરુણ જેટલી સોશિયલ મીડિયાના માધ્યમથી સક્રિય હતા અને પોતાના બ્લોગ દ્વારા તેમણે વિપક્ષ પર નિશાન પણ સાધ્યું હતું. અરુણ જેટલીની ઑફિસને સંપૂર્ણ પણે સાફ કરી દેવામાં આવી છે અને સંક્રમણથી મુક્ત કરી દેવામાં આવી છે જેનાથી કોઈપણ પ્રકારનું સંક્રમણ ન ફેલાઈ શકે.