કોંગ્રેસે માર્યું મેણું, 'આમ આદમી'થી નર્વસ છે મોદી
નવી દિલ્હી, 13 જાન્યુઆરી: ગોવામાં ભાજપની 'વિજય સંકલ્પ રેલી'માં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આક્રમક વલણ દાખવ્યું હતું. પોતાના ભાષણમાં તેમને ના ફક્ત કોંગ્રેસ, પરંતુ પ્રથમ વાર ખુલીને આમ આદમી પાર્ટી (આપ)ને પણ નિશાના પર લીધી હતી. તેમને પોતાના ભાષણમાં ઇશારા-ઇશારામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટીવીવાળા નેતા ગણાવ્યા હતા. નરેન્દ્ર મોદી દ્વારા 'આપ'ને નિશાના પર લેવાથી રાજકીય વર્તુળમાં એક મોટો પ્રશ્ન ઉભો થયો છે કે શું નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલની 'આપ'થી ડરી ગયા છે? આ વાતને લઇને કોંગ્રેસે નરેન્દ્ર મોદી પર મેણું માર્યું છે.
ગોવામાં નરેન્દ્ર મોદીની રેલી બાદ કોંગ્રેસ મહાસચિવ શકીલ અહેમદે ટિખળ કરતાં ટ્વિટ કર્યું હતું કે 'નરેન્દ્ર મોદી કોંગ્રેસની ટીકા કરે છે એ વાત તો સમજાય છે, પર6તુ તે હવે આમ આદમી પાર્ટીની પણ ટીકા કરવા લાગ્યા છે. શું નરેન્દ્ર મોદી આમ આદમી પાર્ટીના ઉદયથી નર્વસ થઇ ગયા છે?'
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે ગોવામાં નરેન્દ્ર મોદીને પોતાના ભાષણમાં દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમને કહ્યું હતું કે 'દેશમાં ગત 10 વર્ષોથી કોંગ્રેસની સરકાર રહી છે. હાલ લેખા-જોખા કરીએ તો દેશને હજુ પણ સૌથી ખરાબ દિવસો જોવા પડી રહ્યાં છે. આ સાથે જ તેમને દિલ્હીમાં સરકાર ચલાવી રહેલી નવોદિત આમ આદમી પાર્ટીની નિંદા કરી હતી. તેમને કોઇનું પણ નામ લીધા વિના ઇશારા-ઇશારામાં કેટલાક મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું.
નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું હતું કે 'કલ્પના કરો કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર જો દિલ્હીમાં હોત તો શું હોત. આખા દેશને ખબર પડતી કે આટલા ભણેલા ગણેલા માણસમાં કેટલી સાદગી છે, પરંતુ શું કરીએ તે ગોવામાં છે દિલ્હીમાં નહી. મીડિયાવાળાઓને દિલ્હીની બહાર કશું દેખાતું નથી. દેશમાં કેટલાય આવા નવરત્ન છે જે દેશ માટે જીવે છે.
આટલું જ નહી તેમને આગળ કહ્યું હતું કે 'હું 12 વર્ષથી ગુજરાતની સેવા કરી રહ્યો છું. ટીવીની સ્ક્રિન પર અને સમાચારના પાનાઓ પર હું હંમેશા હારતો રહ્યો, ક્યારેય જીતી ન શક્યો. ના ક્યારેય જગ્યા બનાવી, ના તો તેમને જીતી શક્યો. પરંતુ જનતાના દિલથી ક્યારેય હાર્યો નથી. એટલા માટે હવે દેશને નક્કી કરવાનું છે કે ટેલિવિઝન પર દેખાવવાથી દેશનું ભલું થશે કે પછી ધરતી ધરતી પર વિઝન જોવાથી ભલું થશે. દેશને ટેલિવિઝન સ્ક્રિન પર ચહેરો જોઇએ છે કે પછી ધરતી પર વિઝન જોઇએ.'