કેજરીવાલે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાન, કહ્યુ - 'કોંગ્રેસને નબળી પાડવા માટે મારી શું જરુર...'
કેજરીવાલે કોંગ્રેસને નબળી પાડવાના આરોપોનો જોરદાર જવાબ આપ્યો છે.
નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિપક્ષી એકતાના પ્રયાસોને મોટો ઝટકો આપ્યો છે. તેમણે કહ્યુ છે કે તેઓ ગઠબંધનની રાજનીતિને સમજી શકતા નથી અને ન તો બેઠકો પર તાલમેલની વાત તેમના સમજમાં આવે છે. તાજેતરમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ આ મામલે તેમને મળ્યા હતા. આ સાથે કેજરીવાલે કોંગ્રેસને નબળી પાડવાના આરોપોનો જોરદાર જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ છે કે આ માટે 'રાહુલ ગાંધી જ પૂરતા છે'. એટલુ જ નહિ તેમણે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ પાછળ 7થી 8,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
કેજરીવાલનો રાહુલ ગાંધી પર સીધો હુમલો
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધી પર સીધુ નિશાન સાધ્યુ છે. તેમણે આરોપોને ફગાવ્યા છે કે તેમની પાર્ટી 'ભાજપની બી-ટીમ'ની જેમ કામ કરી રહી છે. આ સાથે તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા છે અને એવો આક્ષેપ કર્યો છે કે પાર્ટી ધારાસભ્યોને ખરીદવા અને સરકારને પછાડવા માટે 'હજારો કરોડ' ખર્ચી રહી છે. તેમણે સ્પષ્ટ જાહેરાત કર્યા વિના વિપક્ષી એકતા માટે નીતિશ કુમારના પ્રયાસોથી પણ પોતાને દૂર કર્યા છે. કેજીરવાલ એનડીટીવીના એક કાર્યક્રમમાં આ બોલી રહ્યા હતા.
ભાજપની બી-ટીમ હોવાના આરોપોથી ઈનકાર
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમોને ઘણા વિષયો પર સવાલ કરવામાં આવ્યા હતા. જેમાં એક સવાલ એ પણ હતો કે તેમની પાર્ટી દાવો તો કરી રહી છે પરંતુ કોંગ્રેસનો આરોપ છે કે તે તેમને જ નબળા પાડવાનુ કામ કરી રહી છે. કોંગ્રેસ, ત્યારથી આમ આદમી પણ વધુ અકળાઈ છે જ્યારથી પાર્ટીએ ગુજરાતમાં મતદારોને કહેવાનુ શરુ કર્યુ છે કે કોંગ્રેસ પર મત બરબાદ કરવા કરતા સારુ છે કે આમ આદમી પાર્ટીને પસંદ કરો. કેજરીવાલ પહેલા જ કહી ચૂક્યા છે કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસીઓના સૌથી પ્રિય નેતા રાહુલ પર સીધો પ્રહાર કર્યો છે.
'કોંગ્રેસને નબળા પાડવા રાહુલ ગાંધી પૂરતા છે'
દિલ્લીના મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં સ્પષ્ટ કહ્યુ કે 'સાચુ કહુ તો તમે મને કહો... શું મારે કોંગ્રેસને નબળી કરવાની જરૂર છે? શું રાહુલ ગાંધી પૂરતા નથી? શું મારી જરુર છે....' જો કે, જ્યારે તેમને કોંગ્રેસની દેશવ્યાપી પદયાત્રા અથવા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ - 'સારુ છે, તેમને કરવા દો, દરેકે કંઈકને કંઈક સારુ કરવુ જોઈએ. હું તેમને શુભેચ્છા પાઠવુ છુ.
'ધારાસભ્યો ખરીદવા માટે 7થી 8000 કરોડ રૂપિયા ખર્ચ્યા'
આ સાથે જ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર હુમલો ચાલુ રાખ્યો હતો. તેમણે આરોપ લગાવતા કેટલાક સનસનાટીભર્યા આંકડા પણ રજૂ કર્યા છે. દિલ્લીના સીએમે કહ્યુ, 'આપણે રોજ સાંભળીએ છીએ કે ધારાસભ્યો ખરીદવામાં આવ્યા અને સરકાર પડી ભાંગી. દેશભરમાં 285 ધારાસભ્યો ખરીદવામાં આવ્યા છે અને ધારાસભ્યોને ખરીદવા માટે 7થી 8,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. એ લોકો આ જ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશનો વિકાસ કેવી રીતે થશે? ચોંકાવનારી વાત એ છે કે દિલ્લીના મુખ્યમંત્રીએ ધારાસભ્યોની કથિત ખરીદી પાછળ ખર્ચવામાં આવેલી રકમના આંકડા કઈ એજન્સી પાસેથી એકત્રિત કર્યા છે?
વિપક્ષી એકતાને કેજરીવાલનો ઝટકો
આ ઉપરાંત આમ આદમી પ્રમુખ કેજરીવાલે ગઠબંધન અને બેઠકોના સંકલન વિશે જે કહ્યુ છે તે પ્રાદેશિક પક્ષોના નેતાઓ, ખાસ કરીને નીતિશ કુમારે કે જેઓ વિપક્ષી એકતાની યોજનાને આગળ ધપાવી રહ્યા છે તેમના માટે એક મોટો આંચકો બની શકે છે. કેજરીવાલે કહ્યુ છે કે, 'ગઠબંધન અને સીટ વહેંચણી વિશે મને સમજાતુ નથી.' તેમણે કહ્યુ- 'જો નેતાઓ સાથે આવશે તો આપણે નંબર-1 નહિ બનીએ. 130 કરોડ લોકોએ એકસાથે આવવાની જરૂર છે.' તેમણે કહ્યુ, 'હું કોઈની વિરુદ્ધ નથી પરંતુ હું આ જોડ-તોડના રાજકારણને સમજી શકતો નથી. તમે શાળાઓ, રસ્તાઓ અથવા હૉસ્પિટલો બનાવવા માંગતા હોય તો મને કૉલ કરો, હું IIT એન્જિનિયર છું હું વસ્તુઓ ઠીક કરી શકુ છુ પરંતુ આ બધુ ગઠબંધન, સીટો પર તાલમેલ મને સમજાતુ નથી.'