કોંગ્રેસને લઈ અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન, બદલી શકે છે 2019નું ગણિત
કોંગ્રેસને લઈ અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને આગામી લોકસભા ચૂંટણીને પગલે ચેતવણી આપી છે. કેજરીવાલે લોકોને કહ્યું કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને વોટ ન આપે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે માનવામાં આવી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન માટે ચર્ચા કરી રહી છે અને બંને પાર્ટી વચ્ચે લોકસાભા ચૂંટણી પહેલા ગઠબંધન થઈ શકે છે કકરોલામાં એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધન કરતી વખતે કેજરીવાલે કહ્યું કે લોકોએ ભાજપને વોટ ન આપવો જોઈએ, તેમણે તમામ સાત ભાજપી સાંસદો પર આરોપ લગાવ્યો છે કે તેમણે દિલ્હીનો કંઈ વિકાસ જ નથી કર્યો.
કોંગ્રેસને વોટ આપવાથી મોદી મજબૂત થશે
કેજરીવાલે કહ્યું કે તમે કોંગ્રેસને પણ બિલકુલ વોટ ન આપતા. જો તમે કોંગ્રેસને વોટ આપશો તો તેનાથી પણ નરેન્દ્ર મોદીના હાથ મજબૂત થશે. તમારા વોટ વહેંચાવા ન દો, તમામ વોટ દિલ્હીમાં AAPના સાત લોકસભા ઉમેદવારને આપો. કેજરીવાલનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કેમ કે માનવામાં આવી રહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે, જેનાથી ભાજપને સત્તામાંથી દૂર કરી શકાય. બંને પાર્ટીએ ગઠબંધનની કોઈપણ સંભાવનાઓથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.
ગઠબંધન પર ગોપાલ રાયનું નિવેદન
AAPના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે તાજેતરમાં જ કહ્યું હતું કે પાર્ટીની પોલિટિકલ અફેર કમિટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની સલાહ લીધા બાદ દિલ્હી, પંજાબ અને હરિયાણામાં 15 જાન્યુઆરી બાદ ગઠબંધન પર ફેસલો લેશે અને કેન્દ્રીય નેતૃત્વના ફેસલાનો સ્વિકાર કરશે.
33 સીટ પર ચૂંટણી લડશે
જેવી રીતે કેજરીવાલે લોકોને અપીલ કરી તે બાદ માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા જ હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીએ ફેસલો લીધો છે કે તેઓ દિલ્હી, પંજાબ, હરિયાણા, ગોવા અને ચંદીગઢની 33 સીટ પર ચૂંટણી લડશે.