માનસરોવરની યાત્રામાં ચીને નાંખી બાધા, શ્રદ્ધાળુઓ ફસાયા
ચીને કૈલાશ માનસરોવરની યાત્રામાં બાધા નાંખતા યાત્રીઓને નાથૂલા-પાસથી આગળ વધતા અટકાવ્યા હતા.
કૈલાશ માનસરોવરની યાત્રામાં ચીને ફરી એકવાર બાધા નાંખી છે. ચીને ભારતીય તિર્થયાત્રીઓના બે જૂથોને નાથૂલા-પાસથી આગળ વધતા અટકાવ્યા હતા, આ કારણે યાત્રીઓને બે દિવસ સુધી ત્યાં જ રાહ જોવાનો વારો આવ્યો હતો. બે દિવસ પછી પણ જ્યારે ચીન દ્વારા ગેટ ખોલવામાં ન આવ્યો ત્યારે યાત્રીઓને નાથૂલા-પાસથી ગંગટોક બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ ડોકાલાલા વિસ્તારમાં ભારતના બંકરોમાં તોડફોડ પણ કરી છે.
આ કારણે એ વિસ્તારમાં તાણની પરિસ્થિતિ ઊભી થઇ છે. ભારતે લગભગ 10 દિવસો પહેલા જ આ બંકરોનું સમારકામ કરાવ્યું હતું. આ સ્થળ ભારત, ચીન અને ભૂટાનનું ટ્રાઇ-જંક્શન છે. તણાવની પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓને ગંગટોક લાવવામાં આવ્યા છે. હાલ ગંગટોકમાં લગભગ 100 તીર્થ યાત્રીઓ ફસાયેલા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, જ્યાં સુધી આ મામલો થાળે ન પડે ત્યાં સિધી નાથૂલા-પાસને રસ્તે અન્ય યાત્રીઓને મોકલવામાં નહીં આવે.
એક અંગ્રેજી વેબસાઇટ અનુસાર, નાથૂલાના રસ્તે જનારા તિર્થયાત્રીઓમાં વરિષ્ઠ નાગરિક વધુ છે. નાથૂલાથી કૈલાશ સુધીનો રસ્તો બસ મારફતે કાપવામાં આવે છે, જે પછી કૈલાશની માત્ર 38 કિમી જેટલી પરિક્રમા બાકી રહે છે. નાથૂલાથી પાછા બોલાવવામાં આવેલ તિર્થયાત્રીઓને હાલ ઉત્તરાખંડના રસ્તે મોકલવા પણ શક્ય નથી, કારણ કે, આ રસ્તે પહેલેથી જ ખાસું વેઇટિંગ છે.
ઉલ્લેખનીય છે કે, આ રસ્તો વર્ષ 2015માં ભારતીય તિર્થયાત્રીઓ માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો, નાથૂલા-પાસ પાર કર્યા બાદ યાત્રીઓને ચીનના વાહનમાં કૈલાશ સુધી જવામાં આવતા હતા. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાની મુલાકાતે છે અને આ સમયે જ ચીને આવું કારસ્તાન કર્યું છે.